ભરૂચ : કોરાનાના સંકટથી બચવા ડહેલી ગામને કરાયું સંપૂર્ણ રીતે લોકડાઉન

Update: 2020-03-31 12:31 GMT

કોરોના મહામારીના પગલે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના ડહેલી ગામને સ્વયંભૂ ગ્રામજનોએ સંપૂર્ણ રીતે લોકડાઉન કર્યું છે. જેમાં કોરાનાના સંકટથી બચવા માટે ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગો બંધ કરી બહારની કોઈ પણ વ્યક્તિ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.

કોરોનાની મહામારીને લઇ વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનું લગભગ બધી જગ્યાએ પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાલિયા તાલુકાના ડહેલી ગ્રામ પંચાયત દ્વારા સંપૂર્ણ રીતે ગામને લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરાનાના વધતાં જતાં સંક્રમણથી ગ્રામજનોને બચાવવા માટે ડહેલી ગામમાં પ્રવેશતા તમામ માર્ગો બંધ કરવામાં આવ્યા છે.

જેમાં ગામમાં પ્રવેશ કરતી બહારની કોઈ પણ વ્યક્તિ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બહારથી આવતી વ્યક્તિના આરોગ્યની તબીબી તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હાલના તબ્બકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકડાઉનનું પાલન કરાવવામાં આવી જ રહ્યું છે, પરંતુ ડહેલી ગામની જેમ અન્ય ગામના ગ્રામજનો પણ આ પ્રકારે લોકડાઉનનું પાલન કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

Similar News