ભરૂચ : દહેગામમાં સરકારી ગૌચર જમીન પરથી ગેરકાયદ દબાણો દૂર કરવા જાગૃત નાગરિકોનું તંત્રને આવેદન...

સરકારી ગૌચર જમીન પર કેટલાક માથાભારે ઇસમોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકોએ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Update: 2024-01-12 11:17 GMT

ભરૂચ જિલ્લાના દહેગામ પંથકમાં સરકારી ગૌચર જમીન પર કેટલાક માથાભારે ઇસમોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકોએ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ગૌચર જ્યાં પશુને ચરવા માટેની જમીનો છે, ત્યાં વખતો વખત દબાણના કિસ્સા કે, પછી ગૌચર જમીનોમાં જંગલ કટીંગના કિસ્સાની ચર્ચાઓ જોવા મળતી હોય છે. હાલમાં દહેગામ ગામે આવેલ ગૌચર જમીન આશરે 400 વીઘામાં માથાભારે ઇસમો દ્વારા કબજો કરી તથા તળાવો તોડી ખોદકામ કરી સરકારી જમીન ઉપર ખેતર બનાવ્યું હોવાના આક્ષેપ સાથે દહેગામના જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને ઉદ્દેશી અપાયેલ આવેદન પત્રમાં દહેગામની સરકારી ઢોર ચરણની 400 જેટલા વીંઘા જમીન છે. જે જુદા જુદા સર્વે નંબરોની ગૌચર જમીનો તેની ઉપર ગામના માથાભારે માણસોએ કબજો કરેલ છે. પશુઓને ચરવા કોઈ જગ્યા નથી, પશુપાલન કરતાં ગ્રામજનો, રબારી સમાજના લોકોને ખૂબ જ તકલીફ પડે છે. હાલમાં ગંગવા દહેગામ ગામની સીમમાં આવેલ આગરો વિસ્તાર ત્યાં તળાવો તોડીને તથા પાડાઓ તોડીને JCB અને ટ્રેક્ટરથી મોટા પાયે ખોદકામ કરી મોટું ખેતર સરકારી જમીનો ઉપર બનાવેલ છે. તે જગ્યાની તપાસ કરી તાત્કાલિક દબાણ દૂર કરી દબાણ કરનારા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માંગ કરી છે. અગાઉ આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ નક્કર પગલા કે, કાર્યવાહી ન થતાં જાગૃત નાગરિકોએ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Tags:    

Similar News