ભરૂચ: રાજપારડી ખાતે કાર્યરત 15 જેટલા સિલિકા વોશીંગ પ્લાન્ટના સંચાલકોને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારાય

ખેતરોમાં સિલિકા વહીને આવી હોવાના કારણે ખેડૂતોના ખેતરમાં ખૂબ મોટા પાયે નુક્શાન થયું છે

Update: 2022-08-05 12:38 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે સ્ટેટ હાઈવે તેમજ જીએમડીસી રોડ પર કેટલાક સિલિકા વોશીંગ પ્લાન્ટો આવેલાં છે, આ સિલિકા પ્લાન્ટના સંચાલકો દ્વારા સરકારી ધારાધોરણના નિયમો વિરૂધ્ધ સિલિકા વોશીંગ કર્યા બાદ જે પ્રદુષિત પાણી નીકળે છે એ વરસાદી કાંસમાં છોડવામાં આવે છે, આ પ્રદૂષિત પાણીથી રાજપારડી માધુપુરા, કોયા વગાની સિમ વિસ્તાર તેમજ ભીમપોરના ખેતરોમાં સિલિકા વહીને આવી હોવાના કારણે ખેડૂતોના ખેતરમાં ખૂબ મોટા પાયે નુક્શાન થયું છે, જેથી ખેડુતો દ્વારા રાજપારડી ગ્રામપંચાયતમાં આ પ્લાન્ટના આવતા પ્રદુષિત પાણીને બંધ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

જે બાદ ગ્રામપંચાયત એક્શનમાં આવી અને પ્રદુષણ ફેલાવતા પંદરથી વધુ સિલિકા પ્લાન્ટના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સિલિકા પ્લાન્ટના સંચાલકો દ્વારા સિલિકા વોશ કરીને જે પ્રદૂષિત પાણી નીકળે છે કે પ્રદુષિત પાણી અને કચરાનો પોતાના પ્લાન્ટમાં નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવે અને જ્યાં સુધી સરકારના ધારાધોરણ મુજબ કચરાના નિકાલ કરવા માટે આયોજન ન થાય ત્યાં સુધી પ્લાન્ટ બંધ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને જો આવું કરવામાં નહિ આવે તો ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Tags:    

Similar News