ભરૂચ : લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવાનો પ્રયાસ, પાંજરાપોળ દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરાયું...

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Update: 2023-03-20 08:18 GMT

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરજનોને ચકલીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું.

આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી.. ચી.. કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલી પ્રજાતિની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલીને બચાવવાના પ્રયાસો નહીં કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જ ચકલી જોવા મળે તો નવાઈ નહીં. પહેલા ચકલીઓ ઘરમાં નળિયા તથા છાપરા, દિવાલ ઘડીયાળ અને ફોટાઓ પાછળ પણ માળા બાંધતી હતી. હવે નવા અને છતવાળા મકાનો થઈ જતાં ચકલીઓ માળો બાંધી શકતી નથી, ત્યારે હવે ચકલી લુપ્ત થવાની કગાર પર આવી પહોચી છે. ચકલીઓને બચાવવી ખૂબ જ જરૂરી છે, ત્યારે આજે તા. 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે ચકલીઓને પાણી પીવડાવવા માટેના માટીના કુંડા નગરજનોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા, જ્યાં પાણીના કુંડાનું વિતરણ કરી લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન રંજન ગોહિલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન આરતી પટેલ, પાંજરાપોળના ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા સહિત મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News