ભરૂચ : અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં વરેડિયાના સરપંચની તરફેણમાં ગ્રામજનોનું તંત્રને આવેદન...

કલેક્ટર કચેરી ખાતે વરેડિયા ગામ પંચાયતના સરપંચની તરફેણમાં કેટલાક ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું

Update: 2023-10-05 11:41 GMT

વરેડિયાના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તનો મામલો

સરપંચની તરફેણમાં ગ્રામજનોએ આપ્યું તંત્રને આવેદન પત્ર

પુનઃ ચૂંટણી અથવા પંચાયતનો ચાર્જ તેમના હસ્તકની માંગ

ભરૂચના વરેડિયા ગામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી, ત્યારે આ સરપંચની તરફેણમાં ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી પુનઃ ચૂંટણી કરાવી અથવા પંચાયતનો ચાર્જ તેમના હસ્તક રાખવાની માંગ કરી છે.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વરેડિયા ગામ પંચાયતના સરપંચની તરફેણમાં કેટલાક ગ્રામજનોએ આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, વરેડિયા ગામમાં સને 2021માં સરપંચની તથા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય હતી. જેમાં હાલમાં ચૂંટાયેલા ફજીલા નઝીર દુધવાલા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે તેમની વિરૂધ્ધ નુરજહાબેન ચૂંટણી હારી ગયા હતા. પરંતું નૂરઝહાબેન અને ઝરીનાબેનની પેનલમાંથી 3 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે ફજીલા દુધવાલાની પેનલમાંથી 2 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા.

જોકે, ત્યારબાદ ફજીલા દુધવાલાએ સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. અને ત્યારબાદ ગામના વિકાસના કામો પણ કરી રહ્યા હતા. તેમના જેવા કામો આજદીન સુધી ચૂંટાયેલા કોઇપણ સરપંચોએ કર્યા ન હતા. ફજીલા દૂધવાલાએ એમ.એ. વીથ સાઇકોલોજી સાથે તેઓ ગોલ્ડ મેડલીસ્ટ છે. જેથી ઉચ્ચ શિક્ષણ ધરાવતી મહિલા ગ્રામજનોને નસીબ જોગે મળેલ હતી. પરંતુ અમુક સ્વાર્થી લોકોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી તેઓને સરપંચ પદેથી દૂર કર્યા હતા. જેથી હાલમાં વરેડીયા ગામનું ભવિષ્ય બગડી રહ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ હતું. તો બીજી તરફ, ગામના ઉપસરપંચ વધુ સમય કચ્છ-ભુજ મુકામે ગુજારતા હોવાથી ફક્ત મહેમાનની જેમ વરેડીયા મુકામે આવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, ત્યારે પુનઃ ચૂંટણી કરાવી અથવા પંચાયતનો ચાર્જ તેમના હસ્તક રાખવાની માંગ કરવામાં આવી છે. જો આમ નહીં કરવમાં આવે તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

Tags:    

Similar News