ભરૂચના લલ્લુભાઈ ચકલાની ઠારની ખડકીમાં નવીન જાદવના જુના મકાનને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે વેળા પાડોશમાં આવેલાં જીગર કાયસ્થ અને શશીકાંત માળીના મકાનો ધરાશાયી થતાં દોડધામ મચી હતી. જુના ભરૂચના લલ્લુભાઈ ચકલામાં વર્ષો જુના મકાનો આવેલાં છે અને તેમાંથી મોટાભાગના જર્જરીત હાલતમાં છે. કેટલાય મકાન માલિકો હવે તેમના જુના મકાનો ઉતારી નવા બાંધી રહયાં છે. લલ્લુભાઇ ચકલાની ઠારની ખડકીમાં એક મકાન ઉતારવાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. સાંજના સમયે બનેલી ઘટનામાં એક ઘરમાં પરિવાર હાજર હતો. સદનસીબે મકાનમાં હાજર બાળકી સહિત અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો. કાયસ્થ પરિવારના ત્રણ વ્યક્તિઓ ફસાતા નગરપાલિકાના લાશ્કરોએ તેમને સહીસલામત રીતે બહાર કાઢયાં હતાં.