ભરૂચ નર્મદા જિલ્લામાં ઠંડા પવનોએ છેલ્લા 3-4 દિવસથી જોર પકડ્યું છે. આ ઠંડા પવાનોના કારણે તાપમાનમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.આજે ભરૂચ અંકલેશ્વરમાં તાપમાન સવારે 5 વાગ્યે 14 ડિગ્રી નોધાયું હતું. ભરૂચ જિલ્લામાં ગઇકાલે તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રી પહોંચ્યો હતો. નર્મદા જિલ્લામાં પણ તાપમાન 11 ડિગ્રી જેટલું નીચું રહેવાને કારણે લોકો ઠુંઠવાયાં હતાં.
ભરૂચ જિલ્લામાં ઠંડીએ તેનું જોર પકડ્યું છે, હાલમાં હાડથીજવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યાંછે. ક્રિસમસના તહેવાર બાદ તાપમાનમાં તબક્કાવાર રીતે ઘટાડો નોંધાયુ છે. હાલમાં શીતલહેર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઠંડા પવાનોની લહેરના કારણે લોકો ઠેર ઠેર ગલી મહોલ્લામાં તાપણું કરતા જોવા મળે છે. લોકો બહાર નિકળવાનું ટાળી ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અબોલ પશુઓ પણ હાડથીજવતી ઠંડીમાં ઠૂઠવાતા જોવા મળ્યા.