ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસોત્સવ કાર્યક્રમનું સમાપન કરાયું…

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે,

Update: 2023-03-22 12:55 GMT

ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ફાગણ વદ અમાવસ્યાના સૂર્યાસ્તથી શરૂ થયેલ પ્રભાસોત્સવ સ્વરૂપી કલા સાધના ચૈત્રી પ્રતિપદાના સૂર્યોદય સુધી અવિરત ચાલુ રહી હતી, ત્યારે વહેલી સવારે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સૂર્યના પહેલા કિરણના વધામણા કરીને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર ભારતમાં કલા અને સાહિત્યનું સંવર્ધન કરનારી "સંસ્કાર ભારતી" સંસ્થા દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે પ્રભાતોત્સવના નામથી સંસ્કૃતિ અને કલા પ્રસ્તુત કરી પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવની કલા સાધના કરવામાં આવી હતી. ચૈત્ર માસની એકમ એટલે કે, પ્રતિપદાથી હિન્દુ વર્ષનો પ્રારંભ થતો હોય છે, ત્યારે ભારતના અનેકવિધ રાજ્યની વૈવિધ્યસભર સંસ્કૃતિ સોમનાથના શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્કાર ભારતીના નિપુણ કલાકારો દ્વારા લોકસંગીત, લોક નૃત્ય, ભાતીગળ રાસ ગરબા, દક્ષિણ ભારતના શાસ્ત્રીય નૃત્યો જેવા કે કથક, કુચીપુડી, ભરતનાટ્યમ સહિત લોકસાહિત્ય અને શાસ્ત્રીય સંગીતની કલાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. 225થી વધુ કલાકારો દ્વારા પોતાની કલાકૃતિ રૂપી ભક્તિથી સોમનાથ મહાદેવ અને શ્રીકૃષ્ણનો ભક્તિ અભિષેક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર સહિત ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ગમારા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News