ભાજપના 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર,અમિત શાહ આપશે માર્ગદર્શન

ગુજરાતમાં વહેલી ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર 15 અને 16 મે ના રોજ યોજાશે

Update: 2022-05-13 06:53 GMT

ગુજરાતમાં વહેલી ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર 15 અને 16 મે ના રોજ યોજાશે, નળસરોવર પાસેના કેન્સવિલે ખાતે યોજાનાર આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે, આ શિબિરમાં મંત્રીઓ અને ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીની સમીક્ષા સાથે ચૂંટણી લક્ષી વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવશે.આ બેઠકમાં કોર કમિટી તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ બેઠકમાં ભાજપ ના મહામંત્રી તેમજ સંગઠનના ટોચના આગેવાનો પણ હાજર રહેવાના છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી આ પ્રથમ ચિંતન શિબિર છે જેમાં તેઓ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહેશે.

આ ચિંતન શિબિરમાં ભાજપના રાષ્ટ્ર્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે.આ બેઠકમાં આદિવાસી તેમજ પાટીદાર સમાજ અંગે ચર્ચા થવા સંભવ છે. છેલ્લી છ ટર્મથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી ફેકટરના મુદ્દ પણ ચિંતન થઈ શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેના છેલ્લા સપ્તાહમાં રાજકોટ આવશે. બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરીવાર 15મીએ ગુજરાતના પ્રવાસે આવશે. અમદાવાદથી ગુજરાત યાત્રાનો પ્રારંભ કરાવશે. ગુજરાત સરકારની નિષ્ફળતા અને મોંઘવારી સહિતના મુદ્દાઓ જનતા સમક્ષ મુકી.આમ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વચ્ચે દેશના અનેક મોટા નેતાઓ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે 

Tags:    

Similar News