નર્મદા : ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમમાં 24 હજાર ક્યુસેક પાણીનો આવરો, જાવક 42 હજાર ક્યુસેક

Update: 2023-07-08 09:36 GMT

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચલાવવામાં આવી રહ્યા હોવાથી નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાં 3 ટર્બાઇન ચાલુ કરી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. વીજ ઉત્પાદન બાદ પાણી સરદાર સરોવરમાં આવી રહયું હોવાથી નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 0.20 મીટરનો વધારો થયો છે. ગત શુક્રવારે રાત્રે ડેમની સપાટી 122.87 મીટર થઇ હતી. રૂલ લેવલ જાળવી રાખવા માટે નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના ટર્બાઇન રોજના સરેરાશ 10 કલાક ચલાવવામાં આવી રહ્યા છે.

તો બીજી તરફ, ઉપરવાસમાંથી 24 હજાર કયુસેક પાણી આવી રહયું છે, જેની સામે 42 હજાર કયુસેક પાણીનો વપરાશ વીજ ઉત્પાદન મથકોમાં કરવામાં આવી રહ્યો છે. રીવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરવાથી પાણી સીધુ નર્મદા નદીમાં જઇ રહ્યું છે, જેના કારણે ગરૂડેશ્વરનો કોઝ-વે પણ ઓવરફલો થઇ રહ્યો છે.

Tags:    

Similar News