ખેડૂત આંદોલન રિટર્નસ: પંજાબ હરિયાણા ખેડૂતો ચંડીગઢમાં 7 કી.મી.સુધી ઘુસ્યા
પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો.
મહિનાઓથી દિલ્હીની બોર્ડરને ઘેરીને બેઠેલા ખેડૂતોએ શનિવારે આંદોલન વેગવંતું બનાવવાના પ્રયાસો કર્યા હતા. સમગ્ર પંજાબથી હજારો ખેડૂતો મોહાલીના રસ્તે ચંડીગઢ પહોંચ્યા તો હરિયાણાના ખેડૂતોએ પંચકૂલાના રસ્તેથી ચંડીગઢમાં પ્રવેશ કર્યો. એ બાદ આંદોલનની શરૂઆત થઈ હતી.આંદોલન કરતા ખેડૂતો ચંડીગઢના લગભગ 6થી 7 કિલોમીટર અંદર ઘૂસી ગયા, જોકે રાજભવનની પાસે પોલીસે તેમને રોકી દીધા.ખેડૂતોએ ગવર્નરના નામનું મેમોરેન્ડમ ડીસીને આપ્યું અને ત્યાંથી પરત ફરી ગયા. ખેડૂતોના સંયુક્ત મોરચાએ કહ્યું હતું કે તેમની કૂચ શાંતિપૂર્ણ રહેશે, પરંતુ અનેક જગ્યાએ ખેડૂતોએ બેરિકેડ્સ તોડ્યાં ત્યારે ખેડૂતોને રોકવા પોલીસે તેમના પર વોટર કેનનનો મારો કર્યો હતો આ દરમિયાન પ્રદર્શન કરી રહેલા કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા હતા.
ખેડૂતોએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાને પાસ કરી દીધા છે.એને હટાવવા માટે વડાપ્રધાન અને મંત્રીઓને છેલ્લા 7 મહિનાથી વધુ સમયથી કહેવામાં આવે છે પરંતુ કોઈ વાત સાંભળતું જ નથી. ખેડૂતોએ કહ્યું હતું કે સરકારે ઝડપથી આ ત્રણેય કાયદાઓને રદ કરવા જોઈએ, નહીંતર આ પ્રકારનાં જ પ્રદર્શનો યથાવત્ રહેશે.