મહીસાગર : ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ લુણાવાડા વહીવટી તંત્ર સફાળું જાગ્યું, હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરાયું
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખી વિવિધ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ચારેકોર ફેલાઈ ગઈ છે, તેવામાં ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં એકાએક આગ લાગતાં દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ નર્સ સહિત કુલ 18 લોકોના મોત નીપજ્યાં હતા.
સમગ્ર ઘટના બાદ મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું હોય તેમ લુણાવાડા નગરપાલિકા દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર જાત મુલાકાત લેતા કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ હોસ્પિટલ ચલાવવામાં આવતું ન હોવાથી અને ફાયર સેફ્ટીના નામે કોઈ પણ સાધનની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ ખાતાકીય રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરાતા હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.