ગાંધીનગર : ગંભીર બિમારીઓના કારણે લોકોની રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો

Update: 2020-04-23 08:19 GMT

રાજયમાં વધી રહેલાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાના કારણે રાજય સરકારે હવે કોરોના વાયરસના દર્દીઓના આંકડા દર 24 કલાકે જાહેર કરવામાં આવશે તેમ જાહેર કર્યું છે. રાજયના આરોગ્ય સચિવે દાવો કર્યો છે ગંભીર બિમારીઓથી પીડાતા લોકોની રોગ પ્રતિકારક શકિત ઘટી હોવાથી તેઓ કોરોના વાયરસનો ભોગ બની રહયાં છે.

ગુજરાતમાં કોરોના વાયરસના રોજના સરેરાશ 100 જેટલાં દર્દીઓ મળી રહયાં છે. રાજય સરકાર તરફથી સવારે અને સાંજે એમ બે સમય દર્દીઓની વિગતો આપવામાં આવતી હતી પણ સરકારે હવે દિવસમાં એક જ વખત દર્દીઓનો આંકડો જાહેર કરાશે તેવો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવે દાવો કર્યો છે કે, રોજના 3 હજાર ટેસ્ટમાંથી 2,500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે. જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે. મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને વૃધ્ધો અને બાળકો પોતાના ઘરોની બહાર ન નીકળે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 2,400ને પાર કરી ગઇ છે. હવે સરકારે આંકડાઓ આપવાની રણનીતી બદલી નાંખતા આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહયાં છે.

Similar News