રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલો, 5 નામાંકિત તબીબો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ

Update: 2020-11-30 06:35 GMT

રાજકોટમાં બનેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં અચાનક આગ લાગતાં 5 જેટલા દર્દીઓના મોત નિપજ્યા હતા, ત્યારે સમગ્ર મામલે પોલીસે 5 તબીબો વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે.

રાજકોટ શહેરમાં ગત ગુરૂવારના રોજ મોડી રાત્રે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં અચાનક આગ લાગતાં 5 જેટલા દર્દીઓના કરૂણ મોત નિપજ્યા હતા, ત્યારે રાજકોટ પોલીસે હોસ્પિટલના ડો. પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારસ અને ડો. દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ બેદરકારી દાખવવા બદલ ગુન્હો નોંધી પૂછપરછ સહિતની વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર મામલે એસઆઇટીના અધ્યક્ષ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં રાત્રે 12:22 કલાકે આગ લાગી હતી. હોસ્પિટલ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા. ફાયર બ્રિગેડ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચી હતી. ઘટન સ્થળ પર પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા માત્ર 10 મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આઇસીયુ વોર્ડનો ઇમરજન્સી એક્ષીટ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત દરવાજા નજીક મશીનરીની આડશથી અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. આઇસીયુ વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાના કારણે ધુમાડો થયો હતો. તો સાથે જ સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી આઈસીયુમાં વધુ માત્રામાં હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા પણ મેડિકલ સ્ટાફને ફાયર સેફ્ટી બાબતની કોઈ પણ તાલીમ આપવામાં આવી ન હતી. જેથી અગ્નિકાંડ સમયે મેડિકલ સ્ટાફ તાલીમના અભાવે ફાયર સાધનોનો ઉપયોગ કરી શક્યા નહોતા. જોકે એફ.એસ.એલ.ના અધિકારીઓ દ્વારા આઇસીયુમાંથી 13 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આવી ગંભીર બેદરકારીના કારણે હોસ્પિટલને મળેલ મંજૂરીને લઈ મનપાના ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Tags:    

Similar News