“ભદ્રા યોગ” : જાણો, રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથે ક્યારે બાંધી શકશે રાખડી..!

Update: 2020-07-23 06:36 GMT

હિન્દુ ધર્મમાં ભાઈ અને બહેનના પ્રિય તેમજ પવિત્ર બંધનના પ્રતીકરૂપે ઉજવાતા તહેવાર એવા રક્ષાબંધનની તા. 3જી ઓગસ્ટે ઉજવણી કરવામાં આવશે, ત્યારે સોમવારના દિવસે રક્ષાબંધન હોવાથી ભાઇની પ્રતિભાને વધારવા માટે બહેન દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી પ્રાર્થના ચોક્કસરૂપે ફળદાયી નીવડે છે. જોકે કોરોના રોગના આપત્તિકાળમાં આવનારી રક્ષાબંધન ખાસ કરીને ભાઇની રક્ષા કરે તે અનિવાર્ય છે. તો સાથે જ સોમવારે આવતી રક્ષાબંધન ભાઇબહેનના સંબંધો વધુ સૌમ્ય બનાવી રહેશે.

રક્ષાબંધનના દિવસે સવારે 9.28 સુધી ભદ્રા યોગ છે. જેના કારણે બહેનોએ ભાઈના હાથે આ સમયા પહેલા રાખડી ન બાંધવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભદ્રા સમયે રક્ષાબંધન કાર્ય કરવું વર્જિત મનાય છે. જેથી તેના અંત પછી જ, બહેનોએ ભાઈના કાંડા પર રાખડી બાંધવી જોઈએ. 3જી ઓગસ્ટે સવારે 9.28 કલાકથી રાત્રે 9.11 સુધીના સમયમાં શુભ મુહૂર્ત છે.

જેમાં સવારે 9.29થી 11.07 મિનિટ સુધી ચલ ચોઘડિયું, બપોરે 12.19થી 13.13 મિનિટ અભિજિત મુહૂર્ત, બપોરે 2.24થી 4.02 મિનિટ શુભ ચોઘડિયું, બપોરે 4.02થી 5.40 મિનિટ લાભ ચોઘડિયું, સાંજે 5.40થી 7.19 અમૃત અને સાંજે 7.19થી 8.40 ચલ ચોઘડિયું હોવાથી રક્ષાબંધન ઉજવવી અનિવાર્ય છે. જેથી ભાઈની રક્ષા સાથે કુશળ રહે તેવી બહેનની કામના પૂર્ણ થાય છે. ઉપરાંત બહેન અને ભાઈનો પ્રેમ પણ વધુ અતૂટ બની રહેશે. જોકે રક્ષાબંધનના દિવસે પૂનમ રાત્રીના 9.27 મિનિટ સુધી જ છે, તો ત્યાં સુધીમાં રાખડી બાંધવી આવશ્યક માનવમાં આવી રહ્યું છે.

Similar News