સુરત : મંદિરોની બહાર માતાજીની પ્રતિમાની સ્થાપના તેમજ ઓનલાઇન દર્શનની વ્યવસ્થા
જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો શનિવારના રોજથી પ્રારંભ થઇ ચુકયો છે પણ ચાલુ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે સુરત શહેર તેમજ જિલ્લામાં આવેલાં મોટાભાગના માઇ મંદિરો બંધ રહેશે. મંદિરો ભલે બંધ રહેવાના હોય પણ ભાવિક ભકતો માતાજીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હાલ કોરોના કહેર વચ્ચે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી ઈતિહાસમાં પ્રથમ વખત નવરાત્રી દરમિયાન અંબિકા નિકેતન સહિતના મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિરો ભલે બંધ હોય પણ શ્રધ્ધાળુઓ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાય છે. માતાજીની મૂર્તિની મંદિર બહાર સ્થાપના કરવામાં આવશે. અમુક મંદિરો ખાતે LED સ્ક્રીન રાખી ભક્તોને મંદિર નીચે જ દર્શન કરવામાં આવી રહયાં છે. બીજી તરફ મંદિર બંધ રાખતા મંદિરની બહાર પૂજા સામગ્રીનું વેચાણ કરતા દુકાનદારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.