સુરેન્દ્રનગર : મ્યુકરમાઇકોસિસ રોગથી જીલ્લામાં થયું પહેલું મોત, પાટડીના 58 વર્ષીય આધેડનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું

Update: 2021-05-14 08:10 GMT

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઇકોસિસ રોગથી એક આધેડનું મોત થતાં લોકોમાં ફફડાટ સાથે ભયની લાગણી ફેલાવા પામી છે. પાટડીના 58 વર્ષીય આધેડનું કોરોનાની સારવાર બાદ મ્યુકરમાઇકોસિસના રોગથી મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

કોરોનાની બીજી ઘાતક લહેરે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય પથંકમાં પણ પગપેસારો કરી હાહાકાર મચાવ્યો છે. ગ્રામ્ય પથંકના કોવિડ કેર સેન્ટરો પણ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે, ત્યારે પાટડી ખાતે રહેતા અને ડ્રાઇવીંગની નોકરી કરતા 58 વર્ષીય આધેડ અરજણ ઠાકોરને 10 દિવસ અગાઉ કોરોનાનો પોઝિટિવ રીપોર્ટ આવતા સારવાર અર્થે પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા હતા.

જ્યાં તેમનું ઓક્સિજન લેવલ ઓછું થતાં હાલત નાજૂક બનતા વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા, ત્યારે સારવાર દરમ્યાન તેઓને ફંગલ ઇન્ફ્કેશન એટલે કે, મ્યુકરમાઇકોસિસ થતાં અમદાવાદની અસારવા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે સારવાર દરમ્યાન તેઓનું અકાળે અવસાન થયું હતું. અરજણ ઠાકોરનું એકાએક અવસાન થતાં ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઇકોસિસથી થયેલ પહેલી મોતની ઘટનાએ લોકોમાં ફફડાટની સાથે ભયની લાગણી ફેલાવી છે.

Similar News