દહેજની યશસ્વી રાસાયણ કંપનીમાં કામદારોના મોત કેમ થયાં, વાંચો વાગરાના ભાજપના ધારાસભ્યએ શું કહયું
દહેજ જીઆઇડીસીમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં કેમિકલ રીએકશન થવાના કારણે ટાંકી ધડાકાભેર ફાટી હતી. આ ઘટનામાં 10 કામદારોના મોત થયાં છે જયારે 74થી વધારે ઘાયલ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. દુઘર્ટનામાં ઘવાયેલાં કામદારોને તાત્કાલિક પ્રાથમિક સારવાર નહિ મળતાં મૃત્યુઆંક વધ્યો હોવાની કબુલાત વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કરી છે.
દહેજ જીઆઇડીસીમાં 300થી વધારે ઉદ્યોગો ધમધમી રહયાં છે ત્યારે રોજબરોજ ઔદ્યોગિક અકસ્માતના બનાવો બનતાં રહે છે. યશસ્વી રસાયણ કંપનીમાં થયેલાં ધડાકા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં બચી ગયેલાં કેટલાય કામદારો દાઝેલી હાલતમાં કંપનીના ગેટની બહાર દર્દથી કણસતા હોય તેવા વિડીયો વાયરલ થયાં હતાં. આ ઘટનામાં ઘવાયેલા કામદારોને સારવાર માટે ભરૂચ ખસેડવાની ફરજ પડી હતી. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ દહેજમાં કામદારોની સારવાર માટે હોસ્પિટલનો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, દહેજમાં કામદારોને સારી સુવિધા અને સારવાર મળી શકે તેવી એક પણ હોસ્પિટલ નથી. દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બનેલી ઘટનામાં ઘણા કામદારો બચી શકે તેમ હતાં પણ તેમને સારવાર માટે છેક ભરૂચ સુધી ખસેડવાની ફરજ પડી હતી. સારવારમાં વિલંબ થવાના કારણે તેમના મોત થયા હોવાનું મારૂ માનવું છે. દહેજમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ તથા આધુનિક સુવિધાઓથી સજજ ફાયર સ્ટેશન બનાવવામાં આવે તેવી સરકાર સમક્ષ મારી માંગણી છે.