ઉત્તર પ્રદેશનો અલ્હાબાદ જિલ્લો હવેથી "પ્રયાગરાજ" નામથી ઓળખાશે.

Update: 2018-10-16 14:26 GMT

444 વર્ષ પછી અલ્હાબાદ ફરી બન્યું ‘પ્રયાગરાજ’

ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના કિનારે વસેલા ઉત્તર પ્રદેશનો અલ્હાબાદ જિલ્લો હવેથી "પ્રયાગરાજ" નામથી ઓળખાશે. મંગળવારે થયેલી કેબિનેટ બેઠકમાં અલ્હાબાદનું નામ બદલીને "પ્રયાગરાજ" કરવાના પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે જ 444 વર્ષ પછી અલ્હાબાદનું નામ બદલીને ફરીથી "પ્રયાગરાજ" કરવામાં આવ્યું છે. લાંબા સમયથી સંત અને અનેક મહાનુભાવોની માંગણી હતી કે પ્રમુખ તિર્થસ્થાનો ધરાવતા અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવે.

આગામી વર્ષે તીર્થધામ પ્રયાગમાં કુંભ મેળાનું ભવ્ય આયોજન થશે, જેમાં દુનિયાભરના કરોડો લોકો કુંભ મેળાનો હિસ્સો બનશે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર મેળાની તૈયારીમાં કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. મંગળવારે કેબિનેટ બેઠક દ્વારા મંજૂરી અપાયા પછી અલ્હાબાદનું સત્તાવાર નામ "પ્રયાગરાજ" કરવામાં આવ્યું છે. કુંભ મેળો શરૂ થતા પહેલા જ અલ્હાબાદ સંપૂર્ણ રીતે "પ્રયાગરાજ" નામથી ઓળખાશે.

આ પહેલા ગત શનિવારે આગામી કુંભ મેળાના આયોજન માટે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું અધ્યક્ષપદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાયકે સંભાળ્યું હતું. બેઠકના સમાપન પછી ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે અલ્હાબાદનું નામ બદલીને "પ્રયાગરાજ " રાખવાના યુપી સરકારના પ્રસ્તાવને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેમાં રાજ્યપાલ રામ નાયકે પણ સંમતિ આપી હતી.

અલ્હાબાદનું નામ બદલીને "પ્રયાગરાજ" કરવાના સમર્થનમાં તેમણે જણાવ્યું કે જ્યાં બે નદીઓનો સંગમ થાય છે તે પવિત્ર સ્થળને "પ્રયાગ" કહેવામાં આવે છે હિમાલયમાંથી નિકળતી બે પવિત્ર ગંગા અને યમુના નદીઓનો સંગમ અલ્હાબાદમાં થાય છે જે પ્રમુખ તિર્થસ્થાનો ધરાવે છે એવામાં અલ્હાબાદનું નામ તેના મહત્વ મુજબ "પ્રયાગરાજ" હોવું જોઇએ. ઉત્તરાખંડમાં પણ કર્ણપ્રયાગ અને રૂદ્રપ્રયાગ છે.

Similar News