સુરેશ પ્રભુએ રેલ મંત્રી તરીકે જાહેર કરેલી ઉદય (ઉત્કૃષ્ટ ડબલ ડેકર એરકન્ડિશનર યાત્રી) ટ્રેન હવે શરૃ થવાની તૈયારીમાં છે. આ ટ્રેન માટે પ્રાથમિક તબક્કે ત્રણ રૃટ પર દોડાવવાનું નક્કી થયું છે. તેમાંનો એક રૃટ જામગર થી બાન્દ્રા વચ્ચેનો છે. ઉપરાંત વિશાખાપટ્ટનમ-વિજયવાડા (350 કિલોમીટર) તથા બેંગાલુરુ-કોઈમ્બતુર (378) વચ્ચે પણ આ ટ્રેન શરૃ થવા જઈ રહી છે.
રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટર દ્વારા આપેલી જાણકારી પ્રમાણે ટ્રેનની તૈયારી અંતિમ તબક્કામાં છે, માર્ચ મહિના સુધીમાં દોડતી થવાની પુરી શક્યતા છે. સામાન્ય ટ્રેનથી વધુ સુવિધા ધરાવતી આ ડબલ ડેકર ટ્રેન 40 ટકા વધુ મુસાફરોને સમાવી શકશે.
શરૃઆતમાં ભારતના સૌથી વધુ વ્યસ્ત રૃટ પર તેને દોડાવવાનું નક્કી કર્યું છે. વ્યસ્ત રૃટમાં જામનગર-બાન્દ્રાનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે ડબલ ડેકર એસી સિટિંગ ટ્રેનમાં હોય એવી સુવિધા ઉપરાંત કેટલીક વધારાની સવલતો ઉમેરવામાં આવી છે. આ ટ્રેન સામાન્ય રીતે રાતે ઉપડીને સવારે આગામી સ્ટેશને પહોંચે એવી રીતે દોડાવાશે.
બાન્દ્રાથી જામનગર વચ્ચેનું અંતર 812 કિલોમીટરનું અંતર ઉદય એક્સપ્રેસ 14 કલાક 40 મિનિટમાં પુરું કરશે. દરમિયાન વચ્ચે 11 સ્થળે હોલ્ટ લેશે. બાન્દ્રાથી આ ટ્રેન રાતે ઉપડી બીજા દિવસે બપોર સુધીમાં જામનગર પહોંચશે, જ્યારે જામનગરથી પણ એ રીતે રાતે જ રવાના થઈ સવારે મુંબઈ પહોંચશે. ઉદયમાં ટી-કોફી મશિન, ફૂડ વેન્ડિંગ મશીન, એલસીડી સ્ક્રીન, આધુનિક ટોઈલેટ સહિતની સુવિધાઓ ઉમેરવામાં આવી છે.