સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે આધારને લિંક કરાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2017 થી વધારી 31 માર્ચ, 2018 કરવામાં આવશે તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું છે. જો કે આ લાભ ફક્ત એવા જ લોકોને જ મળશે જેમની પાસે હાલમાં આધાર કાર્ડ નથી.
સરકારે આ નિવેદન મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની બનેલી ખંડપીઠ સમક્ષ આપ્યું છે. આધારને ફરજિયાતપણે લિંક કરાવવા વિરુદ્ધ કરાયેલી અરજીઓની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ પાંચ જજોની બનેલી બંધારણીય બેન્ચની રચના કરશે.
જો કે આધાર ઇશ્યુ કરતી યુઆઇડીએઆઇએ જણાવ્યું છે કે બેંક એકાઉન્ટ, પાન અને સીમ કાર્ડ સાથે આધારને લિંક કરાવવાની અંતિમ તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે બેંક એકાઉન્ટ અને પાન સાથે આધારને લિંક કરાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2017 છે. જ્યારે સીમ કાર્ડ સાથે આધારને લિંક કરાવવાની અંતિમ 6 ફેબુ્રઆરી, 2018 છે