આણંદ : મોગર ખાતે જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો વાર્ષિકોત્સવ
આણંદ
જિલ્લાના મોગર ખાતે જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વાર્ષિકોત્સવ
નિમિત્તે યોજાયેલ સ્પંદન -2020 કલ્ચર કાર્યક્રમને કલેકટર આર.જી.ગોહિલે જૂનાગઢના ગોવિંદેશ્વરા નંદગીરી બાપુની
ઉપસ્થિતિમાં ખુલ્લો મૂક્યો હતો.
કલેકટરે યુવાનો દેશનું ભાવિ છે, ત્યારે જીવનમાં સખત મહેનત અને પુરુષાર્થ કરી યુવાનોને પોતાની કારકિર્દી ઘડતર કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે યુવાનોમાં અનેક રચનાત્મક શકિતઓ પડેલી છે જે આવા કાર્યક્રમો દ્વારા ઉજાગર થાય છે. જૂનાગઢના ગોવિંદેશ્વરા નંદગીરી બાપુએ ગામડાઓના વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તેવા ભાવથી શરુ કરાયેલ આ સંસ્થા આવનાર દિવસોમાં સ્વાયત યુનિવર્સિટી બને તેવા આશીર્વાદ પાઠવી વિધાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરી માતા પિતા અને સંસ્થાનું નામ રોશન કરવા જણાવ્યું હતું.
ડી.જે.એમ.આઇ.ટીના
ચેરમેન નરેન્દ્રભાઇ શ્રીમાળીએ જણાવ્યું હતું હ્રદયમાંથી બહાર આવે તે સ્પંદન પ્રાણવાયુ
છે, જે લઘૂતાથી ગુરુતા તરફ, અંધકારમાંથી અજવાળા તરફ અને અજ્ઞાન માંથી જ્ઞાન
તરફ લઈ જાય છે. સંસ્થામાં શિક્ષણ, સંસ્કાર અને
આધ્યાતમિકતાના ગુણો સાથે વિધાર્થીઓનું ઘડતર થઈ રહ્યું છે. ડી.જે.એમ.આઇ.ટીમાં છેલ્લા દસ વર્ષમાં 60
ફેકલ્ટીમાં હજારો વિધાર્થીઓએ પોતાની કારકિર્દીનું ઘડતર કર્યું છે. એટલુંજ નહી મોટા
ભાગના વિદ્યાર્થીઓનું કેમ્પસ પ્લેસમેન્ટ થતાં વિવિધ કંપનીઓમાં પોતાની કારકિર્દી બનાવી છે.
કોલેજના વિદ્યાર્થીઓએ
આ અવસરે વિવિધ કલ્ચર કાર્યક્રમો રજૂ કર્યા હતા. પ્રારંભમાં કોલેજના આચાર્ય બી.આર.પારેખે સૌનો
આવકાર કરી સંસ્થાની પ્રગતિનો અહેવાલ રજૂ
કર્યો હતો. આ અવસરે મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ સનદી અધિકારી બીપીન કુમાર શ્રીમાળી, કાર્યકારી નિયામક કમલેશ સોલંકી, સંજય શ્રીમાળી, હરીશભાઈ પટેલ, ફેકલ્ટી હેડ, સ્ટાફ, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.