અંકલેશ્વરમાં આ સ્થળે ગંધીજીએ કરી હતી વિદેશી વસ્તુઓની હોળી
દાંડી યાત્રા દરમિયાન 1930માં 26 માર્ચે ગાંધીજી અંકલેશ્વરમાં રોકાયા હતા
આવતી કાલે 2 જી ઓક્ટબરનાં રોજ ગાંધીજીની 150મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે અંકલેશ્વરમાં પણ ગાંધીજીનાં સંસ્મરણોને કાયમ કરીને બેઠલાં કેટલાંક સ્થળો આવેલા છે. જે પૈકી ગાંધીજીએ દાંડી યાત્રા દરમિયાન રાત્રિ રોકાણ કરી સ્થાનિક લોકો સાથે સભા કરી હતી. સભા દરમિયાન તેમણે દાંડીયાત્રાનો ઉદ્દેશ લોકોને સમજાવ્યો હતો. જોકે અંકલેશ્વરનાં આ ગાંધી સ્મારકને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં હાલ અહીં માત્ર એક તકતી સિવાય બીજુ કંઈજ નથી. એકમાત્ર તકતીજ અહીં ગાંધીજીની દાંડીયાત્રાની સાક્ષી પુરાવવા માટે રહી ગઈ છે.
મહાત્મા ગાંધીએ વર્ષ 1930માં દાંડી યાત્રા યોજી મીઠાના કાયદાનો બહિષ્કાર કર્યો હતો. સાથે જ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો અને સ્વદેશી અપનાવોનો નારો પણ લોકોને આપ્યા હતા. આ દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી અંકલેશ્વર ખાતે 26 માર્ચ 1930નાં રોજ આવી પહોંચ્યા હતા. ભરૂચથી અંકલેશ્વર આવતાં નર્મદા નદીને પાર કરવા માટે તેમણે નાવડીનો સહારો લીધો હતો. બાદમાં જ્યોતિ ટોકિઝ વિસ્તારમાં હાંસોટ રોડ ઉપર માળીઓની ધર્મશાળા આવેલી છે. જ્યાં તેમણે રાતવાસો કર્યો હતો.
અંકલેશ્વરમાં રોકાવાની સાથે ગામતળા ખાતે વિદેશી વસ્તુઓને એકત્ર કરી તેની હોળી કરી હતી. અને લોકોને અપિલ કરી હતી કે વિદેશી વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુઓને અપવાનો. ત્યાર બાદ ગાંધીજીએ અહીં રાત્રિ સભા પણ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. અને પોતાનાં ભાષણમાં તેમણે દાંડી યાત્રાનમો ઉદ્દેશ સમજાવ્યો હતો. બાદમાં વહેલી સવાર થતાં હાંસોટ તરફ પ્રયાણ કર્યું હતું. આ માર્ગને પણ દાંડી હેરિટેજ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે.
ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે અંકલેશ્વરમાં આવેલા આ સ્મારક ખાતે માત્રને માત્ર એક તકતી નજરે પડે છે. તેના સિવાય કોઈપણ પ્રકારનું સ્મારક તંત્ર દ્વારા અહીં બનાવવામાં આવ્યું નથી. જેથી લોકો આ સ્થળથી પણ જાણે અજાણતા અનુભવી રહ્યા છે. તો ગામતળાવની સ્વચ્છતામાં પણ તંત્ર દ્વારા ઉદાસિનતા દાખવવામાં આવતી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.