-
અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન
-
કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન
-
શહેર વિસ્તારમાં 2 અને જીઆઈડીસીમાં 1 કૃત્રિમકુંડનું નિર્માણ
-
ભક્તિસભર માહોલમાં બાપ્પાને અપાય વિદાય
અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ છે.દશ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ ભગવાન શ્રીગણેશને વિદાય આપવામાં આવી હતી.અંકલેશ્વર શહેર, જીઆઇડીસી વિસ્તાર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું ત્યારે આજરોજ અનંત ચૌદશ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ નગારા નાદ તેમજ ગુલાલની છોળો વચ્ચે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરમાં નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આ સમયે નગર સેવાસદનની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને તૈનાત રાખવામાં આવ્યા હતા. તો આ તરફ અંકલેશ્વર જીઆઇડીસીમાં ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક કુત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
