ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીકથી વહેતી કરજણ નદીમાં પાણીની સારી આવક થવા પામી છે. જેના પગલે ધાણીખૂંટના ધારિયા ધોધમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે. જોકે કોરોનાના વધતાં જતાં સંક્રમણના કારણે ગ્રામજનો દ્વારા ધારિયા ધોધ ખાતે ફરવા આવતા સહેલાણીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. તેમ છતાં પ્રવાસીઓ તેનો અનાદર કરી અહીંયા સ્થળે હરવા ફરવા આવી રહ્યા છે.
ગતરોજ રવિવારની મજા માળવા અંકલેશ્વર શહેરના અંદાડા અને ગડખોલ પાટીયા વિસ્તારમાંથી 12 જેટલા યુવાન મિત્રો ધાણીખૂંટના ધારિયા ધોધ ખાતે ફરવા માટે આવ્યા હતા. જેમાં ચંદન ઘનશ્યામ સહાની અને કારનો ડ્રાઇવર મેહુલ રમેશ ઓડ પાણીના ધોધમાં નાહ્વા પડ્યા હતા. જોકે પાણીનું વહેણ વધારે હોવાથી મેહુલ ઓડ બહાર નીકળી ગયો હતો. જ્યારે ચંદન સહાની થાકી જતા તેણે સહારો માંગતા મેહુલે પાણીમાં કૂદકો માર્યો હતો, ત્યારે જોતજોતામાં મેહુલ ઓડ પાણીના ભારે વહેણમાં તણાયો હતો.
સમગ્ર બનાવની જાણ થવા ગામના સરપંચ અશોક વસાવા સહિત સાથી યુવાનો તથા ગ્રામજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે પાણીના વહેણમાં તળાયેલ યુવાનની શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી તળાયેલા યુવાનો પત્તો લાગ્યો ન હતો. હાલ તો નેત્રંગ પોલીસ દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.