-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદાવરી પત્રો ભરવાની શરૂઆત
-
જિલ્લાની વિવિધ બેઠકો પર ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ભર્યું
-
જંબુસરમાં ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામશે
-
રાજપારડીમાં ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું
-
રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
ભરૂચ જીલ્લામાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદાવરી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી. જેમાં જંબુસરમાં તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભારત આદિવાસી પાર્ટી (BAP)એ ઉમેદવારી પત્ર ભર્યા હતા.
ભરૂચ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવનારી ચૂંટણીને લઈ ઉમેદવારી પત્રો ભરવાના આજથી શ્રીગણેશ થયા છે, ત્યારે જંબુસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે, જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) સામે કોંગ્રેસનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે. જંબુસરના દેવલા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન ગોરધનભાઈએ ઉમેદવારી નોંધાવી છે. ખાનપુર તાલુકા પંચાયત બેઠક પરથી અબ્દુલ રસીદ સુલેમાન, નાડા તાલુકા પંચાયત સીટ બેઠક પર કંચનબેન ભરતભાઈ ગોહિલે, જ્યારે સારોદ તાલુકા પંચાયત બેઠક પર મુસ્તાક કારભારીએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. તો બીજી તરફ, કાવી તાલુકા પંચાયત 2 સીટ પર આમ આદમી પાર્ટી તરફથી સોહેલ નૂરમહમદ મલેકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઢોલ-નગારા તાલે ઉમેદવારોએ પોતાના સમર્થકોના કાફલા સાથે પોતાના ઉમેદવારી પત્રો ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તો બીજી તરફ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવનારી ચૂંટણીને લઈ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર સહિતના સમર્થકોએ પુષ્પાંજલિ અર્પણ કરી ઉમેદવારી પત્ર ભરવા પ્રયાણ કર્યું હતું. ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય એક રાજકીય પક્ષ છે. આ પાર્ટીએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 4 બેઠકો, રાજસ્થાનમાં 3 અને મધ્ય પ્રદેશમાં એક બેઠક જીતી હતી, ત્યારે હવે ઝઘડીયા તાલુકામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવનારી ચૂંટણીમાં પણ ભારત આદિવાસી પાર્ટી (BAP) દ્વારા પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
