ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારમાં 30ની સ્પીડ પર જ વાહન ચલાવી શકાશે
ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારમાં ‘પ્રતિબંધ ગતિ ઝોન’ ની જાહેરાત કરવામાં આવી છે. આ વિસ્તારમાં 30થી વધારે સ્પીડ પર વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
શહેરી વિસ્તારોમાં ખાસ કરીને લબરમુછીયાઓ બેફામ રીતે વાહનો હંકારતાં હોવાથી રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. સ્કુલ, હોસ્પિટલ તેમજ અન્ય જાહેર સ્થળોએ બેફામ દોડતા વાહનોના કારણે અકસ્માતના બનાવો છાશવારે બનતાં રહે છેે. અકસ્માતોને રોકવા માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પ્રતિબંધ ગતિ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારોમાં વાહનચાલકોએ તેમના વાહનોને 30 કીમીની સ્પીડ પર ચલાવવાના રહેશે. આ જાહેરનામુ ઈમરજન્સી સેવાઓના વાહનોને લાગુ પડશે નહી.આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસઅધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. વહીવટીતંત્રએ બહાર પાડેલા જાહેરનામાને ભરૂચના વાહનચાલકોએ આવકાર્યું છે વધુમાં તેમણે વાહનચાલકોને તેમના વાહનોને આડેધડ રીતે પાર્ક નહિ કરવા પણ અપીલ કરી છે.
ભરૂચ શહેરના વિસ્તારો :
- રૂંગટા સ્કુલ પાસે-રોટરી કલબથી ધી કુડીયા જવાના રસ્તા સુધી
- સેન્ટ ઝેવિયર્સ અને કોન્વેન્ટ સ્કુલ પાસે
- વસંતમીલ ઢાળ, મહેદવિયા સ્કુલ પાસે
- વસંતમીલ ઢાળ થી સૈયદ વાડનાનાકા સુધી
- છીપવાડ પ્રાથમિક શાળાથી મહંમદપુરા સુધી
- માટલીવાલા સ્કુલ પાસેથી જુનાઈલ રીમાન્ડ હોમ સુધી
- પટેલ વેલ્ફેર હોસ્પિટલ પાસેથી જંબુસર બાયપાસ
- શાલીમાર હોટલથી હિતેશ નગરના વળાંક સુધી
- શબરી સ્કુલ પાસેથી ઓમ ટ્રેડીંગ સુધી.
- ઝાડેશ્વર પોલીસ ચોકીથી સાંઈબાબા મંદિર સુધી
- ગણેશ ટાઉનશીપ થી શ્રવણ ચોકડી સુધી
- ગુડવીલ સ્વામિનારાયણ સ્કુલ થી પારલે પોલન્ટ સુધી.
- મયુરી શો-રૂમ થી નિરવનગર સોસાયટી સુધી
- પાંચબતી થી સ્ટેટ બેંક સુધી.
અંકલેશ્વર શહેરના વિસ્તારો :
- ચૌટાનાકાથી ભરૂચી નાકા ફાયર સ્ટેશન સુધી
- પિરામણનાકાથી ચૌટાનાકા સુધી
- શાક માર્કેટ ત્રણ રસ્તાથી પિરામણનાકા સુધી
- ઓ.એન.જી.સી. ઓવર બ્રીજ થી શાક માર્કેટ ત્રણ રસ્તા સુધી
- પ્રતિન ચોકી થી વાલીયા ચોકડી સુધી
- વાલીયા ચોકડીથી પ્રતિન ચોકીથી ગડખોલ પાટીયા સુધી