ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે રાજીવ ગાંધીની પુણ્યતિથિએ કર્યા ફૂલ અર્પણ
ડિજીટલ ક્રાંતિના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભરૂચના વિવિધ સ્થળોએ રાજીવ ગાંધીની પુણ્ય તિથિ કાર્યક્રમો યોજી રાજીવ ગાંધીએ દેશ માટે કરેલી સેવાઓને યાદ કરીને તેને બિરદાવી હતી. રાજીવ ગાંધીનો જન્મ તા. ૨૦-૮-૧૯૪૪ના રોજ મુંબઈ ખાતે થયો હતો.રાજીવ ગાંધીએ પ્રારંભિક શિક્ષણ વેલ્હામ બાયઝ દુન સ્કુલ દેહરાદૂન, ત્યારબાદ ટ્રીનીજ કેમ્બરીઝ કોલેજ ઈમ્પેરીયલ કોલેજ લંડનમાં લીધુ હતું.
૧૯૬૬માં પ્રોફેશ્નલ પાયલોટ તરીકે ઈન્ડિયન એર લાઈન્સમાં જોડાયા અને આકાશમાં ઉડવાનું બાળપણનું સ્વપ્નુ સાકાર કર્યું હતું. ૩૧ ઓકટોબર ૧૯૮૪ના રોજ શીખ બોડી ગાર્ડ દ્વારા ઈન્દીરા ગાંધીની હત્યા કરવામાં આવી. ઓપરેશન બ્લુ સ્ટારની ગેર સમજણના લીધે રાષ્ટ્રની આયર્ન લેડીનો ભોગ લેવાયો. દેશમાં અંધાધૂંધી ન ફેલાય તે માટે તેમને વડાપ્રધાન પદ ગ્રહણ માટે સમજાવવામાં આવ્યા અને રાજીવ વડાપ્રધાન બન્યા
૧૯૯૧માં ૨૧ મે ના રોજ તમિલનાડુના પેરૂમ્બુદુર ખાતે સવારે ૧૦ કલાકે રાજીવ ગાંધીનું સભા સ્થળે આગમન સમયે એક યુવતી થેનમોઝીહી રાજા રત્નામએ પોતાના શરીર ઉપર ૭૦૦ ગ્રામ આર. ડી. એકસ બાંધી ચરણ સ્પર્શ કરી, માનવ બોમ્બ બની વિસ્ફોટ કરતા રાજીવ ગાંધી સાથે લગભગ ૨૫ થી વધુ નાગરીકોની જાનહાની થઈ હતી. વિશ્વમાં સંભવતઃ કોઈ મોટા રાજદ્વારીની માનવ બોંબથી હત્યાનો આ પ્રથમ બનાવ હતો.
તેમના મૃતદેહને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં લાવવામાં આવ્યો. યમુના નદીના કિનારે સ્વ. મહાત્મા ગાંધી, સ્વ. જવાહરલાલજી નેહરૂ, સ્વ. ઈન્દીરા ગાંધી, સ્વ. સંજય ગાંધી સહિતના અગ્રણીઓની સમાધિ પાસે ‘‘વીર ભૂમિ” તરીકે ઓળખાતી જગ્યા પર સમાધિ નિર્માણ કરવામાં આવી.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી કાર્યક્રમમાં ભરૂચ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપભાઈ માંગરોલા સહિત ભરૂચ નગરપાલિકાના વિપક્ષી સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.