ભરૂચ આમોદ નગરપાલિકામાં 2015 થી 2020ના 5 વર્ષના સમયગાળામાં 14મા નાણાપંચની ગ્રાંટમાંથી થયેલાં વિકાસકામોમાં ગોબાચારી આચરવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.આ બાબતે નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ 6 પૂર્વ પ્રમુખ અને 7 પૂર્વ ચીફ ઓફિસરને નોટીસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Amod Nagarpalika
ભરૂચની આમોદ નગરપાલિકામાં નાણાપંચની ગ્રાંટમાંથી સરકારની ગાઈડલાઇન મુજબ વિકાસકામો કરવાના બદલે ગ્રાંટને અન્ય કામોમાં વાપરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ હાલના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે. 2015થી 2020ના સમયગાળા દરમિયાન પાલિકાને 14મા નાણા પંચની અંદાજે 10 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી હતી.
અધિકારીઓ અને પદાધિકારીઓએ આ ગ્રાંટને આડેધડ વાપરી નાંખી છે. 5 વર્ષ દરમિયાન પાલિકાના પ્રમુખો, મુખ્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત 42 લોકોને સાગમટે નોટિસ આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે તમામ લોકોને  7 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે ત્યાર બાદ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.