ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીની નજીકમાં જ ગંદકીના ઢગ જોવા મળતા અવરજવર કરતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.
ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકા મથકનું સ્થળ છે, જ્યાં તાલુકાની જનતા પોતાના કામકાજ અર્થે આવતી હોય છે, ત્યારે લોકોને પ્રાંત કચેરી મામલતદાર કચેરીએ પણ આવવું પડતું હોય છે. જનસેવા કેન્દ્ર ખાતે અનેક કામગીરી માટે લોકોને આવવાનું થતું હોય છે, ત્યારે મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરી જવાના માર્ગ પર જ ગંદકીના ઢગ જોવા મળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
જંબુસર તાલુકાની મહત્વની કચેરીઓ નજીક જ ગંદકીના ઢગ અને દુર્ગંધથી કચેરી ખાતે આવતી જનતા હેરાન પરેશાન થઈ છે. ચોમાસામાં ગંદકીના ઢગ ઉપર વરસાદી પાણી પડતા તેનું ગંદુ પ્રવાહી પર માર્ગ પર તરી આવે છે, ત્યારે કોઈ રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા વહેલીતકે સાફ સફાઇ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.