ભરૂચ જીલ્લાનાં ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગામે મંદીર નજીક આવેલ તળાવના કિનારા પર વારંવાર મગર નજરે પડે છે.શંકર ભગવાનના મંદિરની બાજુમાં આવેલ તળાવમાં બે થી ત્રણ મગરો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.આ મગરો મંદિર પાસે તળાવના કિનારે રોજ નજરે પડે છે જેથી મંદિરે ભગવાનના દર્શનાર્થે આવતા ભક્તો ભયભિત બન્યા છે તેમજ તળાવની બાજુમાં આદિવાસી ફળિયું આવેલુ છે અને બાળ મંદિર પણ આવેલું છે જ્યાં નાના બાળકો આવતા હોય છે તો આ નાના ભુલકાઓના જીવ જોખમમાં મૂકાય તો તેનું જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે.

ઘણા વર્ષોથી તળાવમાં બે થી ત્રણ મગરો નજરે પડે છે બે વર્ષ અગાઉ વન વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા હાલમાં ગ્રામજનો રોષ ઠાલવી વનવિભાગ દ્વારા આ મગરને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરી છે.