ગુજરાતની નર્મદા, સાબરમતી, તાપી, અંબિકા, અને પૂર્ણાં સહિતની બારમાસી નદીઓ છે, જેમાં સતત પાણી વહેતું હોય તેવી નદીઓમાં હોવરક્રાફટ શરૂ કરવા ઉપર ગુજરાત મેરી ટાઇમ બોર્ડ વિચારણા કરી રહયું છે.
રાજયમાં 31મી ઓકટોબરના રોજથી સી- પ્લેનની સેવા શરૂ થવા જઇ રહી છે ત્યારે હવે નર્મદા સહિતની નદીઓમાં ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવવા હોવરક્રાફટ શરૂ થાય તેવી પણ સંભાવનાઓ વધી છે. રાજ્યમાં પહેલો સી-પ્લેનનો પ્રોજેક્ટ સાબરમતી રિવર ફ્રન્ટથી કેવડિયા સુધી રહેશે, જેનું ઉદઘાટન 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતની મુખ્ય નદીઓ સહિત ગુજરાતની પાંચ નદીમાં જળ પરિવહન શરૂ કરવાનો નિર્ણય લઇ શકે છે. પરિણામે, હવે હાઇવેની જેમ નદીમાં મુસાફરી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે, જેથી માર્ગો પરનો ટ્રાફિક ઘટી શકે છે. ગુજરાત સરકારે પણ રિવર ઇન્ટર લિંક-અપ પ્રોજેક્ટ હેઠળ જળમાર્ગ બનાવવાનું નક્કી કર્યું છે. સંસદમાં ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રમોશન એક્ટ પસાર થયા પછી ગુજરાતમાં નર્મદા, તાપી, અંબિકા, ઓરંગા અને પૂર્ણાં સહિતની બારમાસી નદીઓમાં પેસેન્જર અને માલવાહક જહાજો ચલાવવાનો આ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાત મેરીટાઇમ બોર્ડે તૈયાર કરાવ્યો છે. આ નદીઓમાં સાબરમતી નદીને પણ સામેલ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આમ ગુજરાતવાસીઓને સી-પ્લેન બાદ વધુ એક સારી સુવિધા મળી શકે તેમ છે.