ભરૂચ : “દેવોના દેવ” મહાદેવના પર્વ મહાશિવરાત્રીની તૈયારીઓ શરૂ, શિવભક્તે 21 કિલો ઘીમાંથી બનાવી શિવજીની પ્રતિમા
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણનગર ખાતે રહેતા એક શિવભક્ત શિવ પરિવારની ઘીમાંથી વિવિધ પ્રકારની પ્રતિમા બનાવવાની કુદરતી કળા ધરાવે છે, ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રી પાવન પર્વે પોતાની હાથોની કળાથી શિવભક્તે 21 કિલો ઘીમાંથી શિવજીની 6 ફૂટની ઊંચી પ્રતિમા તૈયાર કરી છે.
જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી અને બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. એવા દેવોના દેવ મહાદેવની શિવરાત્રી નજીકના દિવસોમાં આવવાથી શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચમાં પણ મહાશિવરાત્રિની વિવિધ સ્થળોએ તડામાંર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ભરૂચના શક્તિનાથ નજીક નારાયણનગર ખાતે રહેતા શિવભક્ત દિલીપ મિસ્ત્રી મહાશિવરાત્રિ નિમિતે શિવ પરિવારની વિવિધ પ્રકારની ઘીની પ્રતિમા બનાવી ચૂક્યા છે, ત્યારે આ વર્ષે પણ તેઓએ પોતાની કુદરતી કળા દ્વારા 21 કિલો ઘીમાંથી શિવજીના નટરાજ સ્વરૂપની 6 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરી છે. શિવજીની આ પ્રતિમાને તેઓ છેલ્લા 15 દિવસથી બનાવી રહ્યા છે, જે સંપૂર્ણ તૈયાર થયા બાદ દાંડિયા બજાર સ્થિત ભૃગુૠષિ મંદિર ખાતે મહાશિવરાત્રીના દિવસે ભક્તજનો માટે દર્શનાર્થે મૂકવામાં આવશે.