ચેન્નાઇ તરફથી આવતી નવજીવન એક્સપ્રેસ ટ્રેન અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે ઉભી હતી, ત્યારે પોલીસને બાકડાં પર 2 ટ્રોલી બેગ બિનવારસી મળી આવતા દોડધામ મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર રેલ્વે સ્ટેશને GRP અને RPFનો સ્ટાફ ગત શુક્રવારે બપોરે ચેકીંગમાં હતો, ત્યારે પ્રોહીબિશન સહિતની ચાલતી ડ્રાઈવમાં બપોરે અંકલેશ્વર રેલ્વે પ્લેટફોર્મ નંબર 1 ઉપર ચેન્નઇથી આવી અમદાવાદ તરફ જતી નવજીવન ટ્રેન આવીને ઉભી હતી, ત્યારે ટ્રેન પસાર થયા બાદ ટોયલેટ નજીકના બાકડાં પર 2 બિનવારસી ટ્રોલી બેગ નજરે પડતા રેલ્વે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.
જેમાં તમામ સ્ટાફને જાણ કરી બેગ ખોલતા અંદરથી ખાખી સેલોટેપ મારેલા 8 સંદિગ્ધ પેકેટો મળી આવ્યા હતા. ઘટના અંગે FSLને જાણ કરતા પંચોની હાજરીમાં પેકેટ ખોલી તપાસ કરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. જેનું વજન કરાવતા 332.525 કિલો ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા 3.25 લાખની થવા જઈ રહી છે, ત્યારે હાલ તો NDPS એક્ટ હેઠળ માદક પ્રદાર્થ એવા ગાંજાનો જથ્થો જપ્ત લઈ રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.