Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ, સરકાર સર્જિત પૂર હોવાનો કર્યો આક્ષેપ..!

ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે

X

ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારની વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ લોકોની વેદના અને સમસ્યાઓને સાંભળી હતી.

ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ભરૂચના ફુરજા સહિતના વિસ્તારોની મુલાકાત લઈ લોકોની વેદના અને સમસ્યાઓને સાંભળી હતી. કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક કેશડોલ સહિત રાહત ચૂકવવાની માંગણી કરવા સાથે આ પૂર સરકાર સર્જિત હોવાનો આક્ષેપ કરી ન્યાયિક તપાસની માંગ કરી હતી. નર્મદા ડેમમાંથી છોડાયેલા 18 લાખ ક્યુસેકથી વધુ પાણીએ ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે. તો ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ શુક્લતીર્થ, કડોદ તેમજ ભરૂચના દાંડિયા બજાર સહિત અન્ય વિસ્તારોની કોંગ્રેસ અગ્રણીઓએ મુલાકાત લેતા અસરગ્રસ્ત લોકોએ પૂરથી થયેલ તબાહી અંગે રજૂઆત કરવા સાથે હજી સુધી કોઈપણ સરકારી સહાય મળી ન હોવા અંગે જણાવી તંત્ર અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વેદના સાંભળવા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ અમિત ચાવડા સાહિત કોંગ્રેસ પ્રતિનિધિ મંડળમાં ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ બિમલ શાહ, પૂર્વ મંત્રી તુષાર ચૌધરી સહિતના અગ્રણીઓ સાથે ભરૂચ કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા હતા. આ સાથે જ પૂર ઉત્સવની ધેલછા ધરાવતી સરકારના કારણે આવેલ સરકાર સર્જિત પૂર હોવાનો આક્ષેપ કરી તેના કારણે લોકોને ભારે નુકશાન અને દુઃખ વેઠવું પડ્યું છે, તેમ જણાવ્યુ હતું. તો બીજી તરફ, પૂર અંગે SIT ની રચના કરી ન્યાયિક તપાસ થાય તેવી માંગ કરી છે.

Next Story