ભરૂચ: અંકલેશ્વરમાં વીજ કંપનીએ ખોદેલા ખાડામાં પડી જતા ગાયનું મોત,સ્થાનિકોમાં રોષ
અંકલેશ્વરમાં તંત્રની બેદરકારીના કારણે વધુ એક અબોલ પશુનું મોત નીપજયું છે.
અંકલેશ્વરમાં તંત્રની બેદરકારીના કારણે વધુ એક અબોલ પશુનું મોત નીપજયું છે. રાજપીપળા ચોકડી નજીક જી.ઈ.બી દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં ગાય પડી જતા ગાયનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરમાં અબોલ પશુ તંત્રની બેદરકારીની બલી ચઢી ગયો છે. થોડા દિવસ પૂર્વે અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક નજીક ખુલ્લી ગટરમાં ખાબકતા આખલાનું મોત નીપજયું હતું આ દુર્ઘટનાથી તંત્રએ કોઈ શીખ ન લીધી હોવાનું લાગી રહ્યું છે. આજની ઘટનાની વાત કરીએ તો અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ નમક ફેક્ટરી પાછળ વીજ કંપની દ્વારા ઉંડો ખાડો ખોદવામાં આવ્યો હતો.
અહીંથી એક ગાય પસાર થઈ રહી હતી જોકે ખાડાથી અજાણ અબોલ ગાય ખાડામાં ખાબકી હતી જેના પગલે તેનું મોત નીપજયું હતું. સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરી જણાવ્યું કે આજે ગાયનું વાછરડું મરી ગયું છે કાલે કોઈ નાનું બાળક ખાડામાં પડીને મૃત્યુ તો એની જવાબદારી કોની? બનાવ અંગે જી.ઇ.બી ના કર્મચારીઓને જાણ થતા તેઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા જો કે કામગીરી પૂર્ણ કરી ખાડાનું પુરાણ ક્યારે થાય છે એ જોવું રહ્યું