ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા મગણાદ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાય જતાં ઊભા પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાય રહી છે.
ભરૂચ જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, ત્યારે જંબુસર અને મગણાદ વચ્ચે અણખીથી મહાપુરા તરફ જતી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાય જવાથી તુવેર, કપાસ સહિતના તૈયાર પાકને મોટું નુકશાન થાય તેવી ખેડૂતોમાં ભીતિ સેવાય રહી છે. જંબુસર તાલુકામાં અગાઉ પણ કેનાલમાં ગાબડા પાડવાના કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે, ત્યારે કેનાલમાં પડેલા ગાબડાંનું નર્મદા નિગમ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં JCBની મદદથી માટી પુરી હાલ પૂરતું ગાબડું પુરાવામાં આવ્યું છે. તો બીજી તરફ, કેનાલમાં ભંગાણ સર્જાતા ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.