/connect-gujarat/media/post_banners/2ad224a99f39c78a32508a6ed43a195094358ba6f33939d175cc26f40658dd39.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કરમાડ ગામ ખાતે વણકર ફળિયામાં જવા-આવવાના રસ્તા પર કેટલાક અસામાજિક તત્વોએ દ્વારા ગેરકાયદેસર દબાણો કરી માર્ગમાં અડચણ ઊભી કરી ધમકી આપતા હોવાની ફરિયાદ સાથે સમાજના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
છપ્પન છત્રીસ બાણુ ગામ વણકર સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જંબુસરના કરમાડ ગામ ખાતે વણકર ફળિયામાં જવા-આવવાના રસ્તા પર કેટલાક અસામાજિક તત્વોએ પોતાના મકાનો છોડીને જાહેર જગ્યા ઉપર દબાણો કરી વર્ષો પુરાણાં પીવાના પાણીનો કુવો અને માર્ગ કબજે કરી લીધો હોવા અંગેના આક્ષેપો સાથે છપ્પન છત્રીસ બાણુ ગામ, વણકર સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ ઈશ્વર જાંબુની આગેવાનીમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, રસ્તાની આજુબાજુ અસામાજિક તત્વોએ પોતાના ઢોર ઢાખર બાંધી તથા ઉકરડા નાખી ગંદકી ફેલાવીને જાહેર રસ્તા પર પોતાના ખેતીના સાધનો, ટ્રેક્ટર, ગાડા મુકી અડચણ ઉભી કરી છે. જેથી ફળિયામાં જવા-આવવામાં લોકોને ખૂબ જ અડચણ થાય છે. ઉપરાંત રસ્તામાં ઉભા રહી બહેન-દીકરીઓ પર ખોટી અને ખરાબ દાનત રાખી તેમની છેડતીના પણ બનાવો બન્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે તે પૂર્વે આ તંત્ર દ્વારા સત્વરે તપાસ કરી અત્રેના ફળિયામાં આવવા-જવાના માર્ગનું કાયમી નિરાકરણ લાવવાની છપ્પન છત્રીસ બાણુ ગામ વણકર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.