ભરૂચ: વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સ્થળે કાદવ કીચડનું સામ્રાજ્ય, તંત્રની ચિંતામાં વધારો
તા.10 ઓકટોબરે ભરૂચના આમોદમાં યોજાશે કાર્યક્રમ, PM મોદી કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, પી.એમ.ના કાર્યક્રમ પૂર્વે વરસાદનું વિઘ્ન
આગામી તારીખ 10મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચના મહેમાન બનવા જઈ રહ્યા છે પરંતુ વરસાદના કારણે આમોદ ખાતે યોજાનાર કાર્યક્રમના સભા સ્થળ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આગામી તારીખ 10મી ઓક્ટોબરના રોજ ભરૂચના આમોદ ખાતે કાર્યક્રમ યોજાશે જેમાં પી.એમ.ના હસ્તે કરોડો રૂપિયાના વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે જો કે કાર્યક્રમ અગાઉ વરસાદે વિઘ્ન ઉભુ કર્યું છે. આમોદની રેવા સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે પરંતુ ભરૂચ જીલ્લામાં વરસેલ વરસાદના કારણે કાર્યક્રમ સ્થળે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આમોદ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે પી.એમ.મોદીનો જે સ્થળે કાર્યક્રમ યોજાવાનો છે એ સ્થળ પર કીચડ જોવા મળી રહ્યું છે જેના પગલે ભાજપ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. કાર્યક્રમ સ્થળને સુચારું બનાવવા આગેવાનો દોડધામ કરી રહ્યા છે.