Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જર્જરિત નંદેલાવ બ્રીજનું સમારકામ હાથ ધરાશે, વાંચો કેટલા દિવસ વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ રહેશે..!

ભરૂચમાં અત્યંત બિસ્માર બનેલ અને વાહનોથી સતત ધમધમતા નંદેલાવ બ્રિજના મરામતની કામગીરી આવતીકાલથી એટલે કે, તા. 5 ફેબ્રુઆરીથી તા. 9 ફેબ્રુઆરી દરમ્યાન હાથ ધરવામાં આવનાર છે.

ભરૂચ : જર્જરિત નંદેલાવ બ્રીજનું સમારકામ હાથ ધરાશે, વાંચો કેટલા દિવસ વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ રહેશે..!
X

ભરૂચના બિસ્માર બનેલ નંદેલાવ બ્રીજના સમારકામની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જેને ધ્યાનમાં રાખી નંદેલાવ બ્રીજનો ઉપયોગ કરતાં વાહનચાલકો માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. ભરૂચમાં અત્યંત બિસ્માર બનેલ અને વાહનોથી સતત ધમધમતા નંદેલાવ બ્રિજના મરામતની કામગીરી આવતીકાલથી એટલે કે, તા. 5 ફેબ્રુઆરીથી તા. 9 ફેબ્રુઆરી દરમ્યાન હાથ ધરવામાં આવનાર છે.

જે અંગે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાંધલ દ્વારા વાહન વ્યવહાર નિયંત્રણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં વાહનોની અવર– જવર બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે જ બ્રિજનો માર્ગ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકેના માર્ગનો ઉપયોગ કરવા લોકોને અનુરોધ કરાયો છે.

જેમાં ABC સર્કલથી શ્રવણ ચોકડી તરફ જતા બ્રીજ ઉપરના વાહનોને ABC સર્કલથી ડાયવર્ટ કરી સામેની બાજુથી એટલે કે, શ્રવણ ચોકડીથી ABC સર્કલ તરફ આવતા બ્રીજ ઉપર જ અવર-જવર કરે તે રીતે ડાયવર્ટ કરી બન્ને તરફનો વાહન વ્યવહાર શ્રવણ ચોકડીથી ABC સર્કલ તરફ આવતા નંદેલાવ બ્રીજ ઉપરથી ચાલુ રહેશે. વધુમાં ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો ABC સર્કલથી તેમજ મઢુલી સર્કલથી નંદેલાવ બ્રીજ ઉપર ફક્ત મોટા વાહનોની અવર-જવર ચાલુ રહેશે. તેમજ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ABC સર્કલથી કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રીજથી શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

તેમ છતાં વધુ ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો નર્મદા ચોકડીથી નેશનલ હાઇવે નં. 8 ઉપર અતિથિ રીસોર્ટથી ચાવજ રેલ્વે ફાટક થઈ હિંગલ્લા ચોકડી તરફ અથવા ભરૂચ શહેર તરફ માત્ર ટુ-વ્હીલ૨ તેમજ ફોર-વ્હીલર વાહનો અવરજવર કરી શકશે. ઉપરાંત દહેજ તરફથી આવતા ભારે વાહનો વડોદરા–સુરત તરફ જતા વાહનો મનુબર ચોકડીથી જંબુસર બાયપાસ થઈ થામ, દયાદરા, સમની, આમોદ, કરજણ તથા જંબુસર રોડ તરફ જઈ શકશે.

આ સાથે જ નેશનલ હાઇવે નં. 48 ઉપર આવતા વાહનો પાલેજથી સરભાણ, આમોદ, આછોદ, ગંધાર થઈ દહેજ તરફ જઈ શકશે. આ હુકમનો ભંગ કરનાર જે તે વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ તેને કસુરવાર ઠેરવી કાયદેસરની કાર્યવાહી કરવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

Next Story