ભરૂચ: વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી
ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ ફરી એક વખત જિલ્લાના ખેડૂતોને અન્યાયને લઈ કલેકટર સમક્ષ વિશાળ સંખ્યામાં ખેડૂતો રજુઆત કરવા ઉમટી પડ્યા હતા
વડાપ્રધાનના બે મહત્વકાંક્ષી પ્રોજેકટ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ બુધવારે ફરી એક વખત જિલ્લાના ખેડૂતોને અન્યાયને લઈ કલેકટર સમક્ષ વિશાળ સંખ્યામાં ખેડૂતો રજુઆત કરવા ઉમટી પડ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પેહલા દિવાળી ટાણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે માટે અંકલેશ્વરના પુનગામનો પહેલો એવોર્ડ ₹640 આર્બીટ્રેટર કલેકટર તુષાર સુમેરાએ જારી કર્યો હતો.
ચૂંટણી ટાણે ભરૂચ જિલ્લા ભાજપે પણ આ એવોર્ડ જારી થતા ભરપેટ વાહવાહી લૂંટી હતી અને ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા હતા. એક્સપ્રેસ વેમાં પ્રથમ પુનગામને એકરે ₹1.67 કરોડનો આર્બીટ્રેટર દ્વારા આર્બીટ્રેશન એવોર્ડ જારી કરાતા, 34 ખેડૂતોને 40.90 એકરના ₹68.34 કરોડ રૂપિયા મળવાના હતા.પુનગામના ખેડૂતોને 142ની જગ્યાએ 640 પ્રતિ ચો.મી.નો એવોર્ડ અપાતા ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 ખેડૂતોની ખુશીનો પાર રહ્યો ન હતો.
જોકે ચૂંટણી પૂર્ણ થતાં જ NHAI આ એવોર્ડ સામે કોર્ટમાં જતા ખેડૂતોની ખુશી ભયંકર નારાજગીમાં ફેરવાઈ ગઈ છે.આજે બુધવારે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ અને સમન્વય સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે ઉમટી પડી અન્ય જિલ્લાને અપાયેલા વળતર જેટલું જ ચૂકવવા પ્રબળ માંગ કરી હતી. સાથે જ આર્બીટ્રેટરે જારી કરેલ એવોર્ડ જ એક્સપ્રેસ વે માં લાગુ કરવા રજુઆત કરી હતી.જ્યારે ભાડભુત બેરેજમાં પણ ડાબા કાંઠાના અંકલેશ્વરના ગામોની સંપાદિત થનારી જમીનમાં રિવાઇઝ વળતર આપવા નહિ તો સંપાદન પડતું મુકવાનો પોકાર કર્યો હતો.