Connect Gujarat
ભરૂચ

મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ, મનસુખ વસાવાના બેબાક બોલે ખોલી "પોલ"

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં ધુમ મચાવી રહયો છે.

X

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં ધુમ મચાવી રહયો છે. નારેશ્વરમાં ડમ્પરની ટકકરે ત્રણ નિર્દોષ લોકોના મોત બાદ સ્થળની મુલાકાતે પહોંચેલા સાંસદે મામલતદાર તથા સર્કલ ઓફિસરને જાહેરમાં ગાળો ભાંડી હતી. સમગ્ર ઘટના બાદ સાંસદ મનસુખ વસાવાની ચારેકોર પ્રશંસા થઇ રહી છે તો મહેસુલી કર્મચારીઓએ સાંસદ વિરૂધ્ધ મોરચો ખોલ્યો છે....

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ગણના એક નિર્ભિક અને આખાબોલા નેતા તરીકે થાય છે. ખોટુ સહન નહિ કરવાના તેમના સ્વભાવથી તેમણે ઘણું બધું ગુમાવ્યું છે પણ મનસુખ વસાવા તેમના વિચારો સાથે અડગ રહયાં છે. કોઇ પણ અધિકારી હોય કે પછી કોઇ નેતા.. મનસુખભાઇની નજરમાં આવી ગયો તો સમજો તેનું કામ તમામ.. મનસુખ વસાવા વર્ષોથી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતાં આવ્યાં છે. તેઓ લોકોના પ્રશ્નો ઉઠાવવામાં પાછી પાની કરતા નથી અને ભુતકાળમાં તેઓ તત્કાલીન મુખ્યમંત્રીઓ સામે પણ બેબાક બોલ્યાં હતાં અને હજી પણ બોલે છે. સાંસદ મનસુખ વસાવા અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે શું કહયું હતું તે સાંભળો.....

હવે વાત કરીશું સોશિયલ મિડીયામાં વાયરલ થયેલાં વિડીયોની.. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના કિનારે રેતીનું ખનન કરતી અનેક લીઝો આવેલી છે. આ લીઝોમાંથી રોજના હજારો ડમ્પરો નારેશ્વર રોડ પર અવરજવર કરતાં હોવાથી અકસ્માતો થઇ રહયાં છે. ત્રણ દિવસ પહેલાં માલોદ ગામ પાસે ડમ્પરની ટકકરે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતાં. ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા મંગળવારના તેમના તમામ કાર્યક્રમો રદ કરી નારેશ્વર પહોંચ્યાં હતાં. સ્થાનિકોએ તેમને રેતી ભરેલી ટ્રકોની અવરજવરથી પડતી હાલાકીથી માહીતગાર કર્યા હતાં. લોકોની રજુઆત સાંભળી મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો અને સ્થળ પર હાજર કરજણના મામલતદાર અને સર્કલ ઓફીસરને જાહેરમાં ખખડાવી નાંખ્યાં હતાં.

સરકારી અધિકારીઓને ભાંડતો વિડીયો વાયરલ થયાં બાદ મનસુખ વસાવાની ચારેતરફ પ્રસંશા થઇ રહી છે. લોકો મનસુખ વસાવાને લોકોનું દર્દ સમજનારા નેતા તરીકે ગણાવી રહયાં છે. મનસુખ વસાવાના વર્તનની સામે મહેસુલી કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાય છે.. વડોદરામાં મહેસુલ વિભાગના કર્મચારીઓએ સાંસદની વિરૂધ્ધમાં આવેદનપત્ર આપ્યું છે...

સાંસદ મનસુખ વસાવા અને મહેસુલી કર્મચારીઓનો વિવાદ આટલેથી અટકતો નથી. રાજયમાં મહેસુલ વિભાગમાં જ સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. રાજયના નવા મંત્રીમંડળમાં મહેસુલ મંત્રી તરીકે વડોદરાના તેજતર્રાર ધારાસભ્ય અને વિદ્વાન વકીલ રાજેન્દ્ર ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી છે. મહેસુલ વિભાગનો હવાલો સંભાળ્યા બાદ તેમને પણ તેમના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના સારા- નરસા અનુભવ થઇ રહયાં છે. મહેસુલ મંત્રીના હોમ ટાઉન વડોદરામાં જ અજરદારોને હુકમો આપવામાં વિલંબ થતાં તેમને કલેકટર કચેરીની આકસ્મિક મુલાકાત લેવી પડી હતી અને રવિવારે કચેરી ખોલાવી અરજદારોને ઓર્ડર અપાવ્યાં હતાં.

માત્ર વડોદરામાં જ નહિ અમદાવાદની સ્ટેમ્પ ડયુટીની કચેરીમાં પણ ભ્રષ્ટાચાર ઘર કરી ગયો હતો. અધિકારીએ લાંચ લેવા માટે વચેટીયો ઓફીસમાં રાખ્યો હતો. દસ્તાવેજ માટે અધિકારીએ 72 લાખ રૂપિયાની લાંચ માંગી હતી પણ વકીલે તેનું સ્ટીંગ ઓપરેશન કરી મહેસુલ મંત્રી સુધી વિડીયો પહોંચાડયો હતો. આખરે મહેસુલ મંત્રીએ અમદાવાદની સ્ટેમ્પ ડયુટી કચેરીની ઓચિંતિ મુલાકાત લીધી હતી હાલ આ કચેરીમાં અધિકારીઓ તથા કર્મચારીઓની બદલી કરી નાંખવામાં આવી છે.

મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારે અજગરી ભરડો લઇ લીધો છે. તમને સૌથી વધારે અરજદારોની ભીડ મહેસુલ વિભાગમાં જ જોવા મળશે. મોટાભાગના અરજદારો તમને એમ જ કહેતા હશે કે જવા દો ને પૈસા આપ્યાં સિવાય કઇ કામ થતું નથી. મહેસુલ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચારે ખુદ મહેસુલ મંત્રીને નાયક ફિલ્મના અનિલકપુર જેવા બનાવી દીધાં છે. તાજેતરમાં જ મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વલસાડમાં રીકશામાં બેસી કચેરીની આકસ્મિક મુલાકાતે ગયાં હતાં.

અમે તમને ભુતકાળમાં બનેલી ઘટનાઓથી એટલા માટે વાકેફ કર્યા કે મહેસુલ વિભાગના કર્મચારીઓની કેટલી ફરિયાદો છે તે તમારા ધ્યાનમાં આવે... નારેશ્વરમાં બનેલી અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે અને તેનું દર્દ તો મૃતકના પરિવારજનો અનુભવી રહયાં છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ત્રણેના મોત માટે ગેરકાયદે રેતી ખનન અને બેફામ દોડતાં વાહનોને જવાબદાર ગણાવ્યાં છે અને તેમનું એમ પણ કહેવું હતું કે, અધિકારીઓની મિલીભગત સિવાય ગેરકાયદેસરની પ્રવૃતિઓ શકય નથી. કદાચ ત્રણ મૃતકોના પરિવારજનોના દર્દને વાચા આપી તેમણે અધિકારીને જાહેરમાં તતડાવી નાંખ્યા પણ સામે અધિકારીઓ અને કર્મચારીઓની પણ ફરજ છે કે તેઓ રેતી ખનન સહિતની ગેરકાયદે પ્રવૃતિઓને કડક હાથે ડામી દે તે જરૂરી છે. નારેશ્વરમાં બનેલી ઘટના અધિકારીઓ તથા પદાધિકારીઓ બંને માટે બોધપાઠ લેવા જેવી છે...

Next Story