મહાશિવરાત્રીએ વાતાવરણ શિવમય બન્યું
દશે દિશામાં ગુંજ્યું શિવજીનું નામ
ભક્તો બન્યા શિવ ભક્તિમાં લિન
અંતરનાથ મહાદેવની ભસ્મ આરતીનો લ્હાવો લેતા ભક્તો
ભક્તોએ કરી ભોળાનાથની આરાધના
અંકલેશ્વર શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,અને શિવભક્તોએ મહાદેવજીની ભસ્મ આરતીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવની આરધાનામાં લિન બન્યા છે.અને ભગવાન શિવને દૂધ, જળ અને બીલીપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના ભક્તો કરી રહ્યા છે. એક લોકવાયકા પ્રમાણે અંકલેશ્વર શહેરનું ધાર્મિક મહાત્મ્ય ઘણું પૌરાણિક છે. વાયુ પુરાણ રેવાખંડ અધ્યાય 168માં જોવા મળતા વર્ણન અનુસાર, અંકુરેશ્વર નાયક પ્રાચીન તીર્થમાં રાવણના અનુજ કુંભકર્ણનો પુત્ર અંકુર નામે રાક્ષસ તપોસિદ્ધ થયો હતો.
પ્રથમ ત્રેતાયુગમાં શિવજીની આરાધનામાં તત્પર એવા અંકુરે સીતાહરણ બાદ રાવણને ઠપકો આપ્યો હતો. જે રાવણથી સહન થયો નહીં અને અંકુરને દેશનિકાલ કર્યો હતો. પરિણામસ્વરૂપે દેશનિકાલ દશામા પોતાના પુરોહિતને ભક્તિ યોગ્ય પવિત્ર સ્થળની પસંદગી અંગે પૂછતાં તે અતિ પવિત્ર એવા રેવાજીના દક્ષિણ કિનારે આવેલા આ સ્થળે તપ કરવા સૂચન આપ્યું હતું.
અંકુરે પુરોહિતની આજ્ઞાને શિરોધાર્ય માની શિવજીની આરાધના કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા. વરદાન સ્વરૂપે નામની સંજ્ઞાથી રહીશ અને તું અમરત્વ પામે એવા બે વરદાન આપી શિવજી અંતર્ધ્યાન થયા હતા. અંકુરે પોતાના ઈષ્ટદેવની ભક્તિ અર્થે શિવજીની સ્થાપના કરી અને અંકુરે દ્વારા આયોજિત શિવલિંગ પણ કાળક્રમે નગરજનોએ ભક્તિ ભાવથી પ્રેરિત થઈ સુંદર મંદિર બાંધ્યું છે, ત્યારે આ મંદિર હાલ અંતરનાથ મહાદેવના નામથી ખૂબ પ્રસિદ્ધ થયું છે.
ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર શહેરનું નામ પણ અંતરનાથ મહાદેવના નામથી જ રાખવામાં આવ્યું હોવાની લોકવાયકા છે. આ શિવલિંગ દોઢ હાથ ઊંચું અને ઘણું જાડું છે. જળાધારી સુંદર પુષ્પોની જટા અને બીલીપત્રથી શિવલિંગ ખૂબ જ આહલાદક જોવા મળે છે. અંતરનાથ મહાદેવ મંદિર સ્થિત શિવલિંગના પ્રભાવના પરિણામે લોકોના અંતરની ઈચ્છા પૂરી કરનાર દેવ અંતરનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત મંદીરમાં મહાશિવરાત્રી પર્વે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં જે રીતે મહાદેવની ભસ્મ આરતી થાય છે,તે મુજબ જ અંતરનાથ મહાદેવ મંદિરમાં પણ શિવજીની ભસ્મ આરતી કરવામાં આવે છે,મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાં ભસ્મ આરતીંનો મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લ્હાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.