-
કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શનિવારનું વિશેષ મહત્વ
-
કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરાયો
-
કષ્ટભંજનને ત્રિરંગાની થીમવાળા વાઘા-ફુલોનો શણગાર કરાયો
-
ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા
-
મંદિરના કોઠારી સ્વામીએ ઓપરેશન સિંદૂરને સમર્થન આપ્યું
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આસ્થાના પ્રતિક એવા બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને ત્રિરંગાની થીમવાળા વાઘા સહિત સિંહાસનને વિવિધ ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે, ત્યારે આજરોજ પવિત્ર શનિવાર નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજ-અથાણાવાળાની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ત્રિરંગાની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ઉપરાંત દાદાના સિંહાસનને 200 કિલોથી વધુ વિવિધ ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી હતી.
આ સાથે જ પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક એવં અન્નકૂટ આરતી સહિત સમુહ મારૂતી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શનિવાર નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.
તો બીજી તરફ, કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ ઓપરેશન સિંદૂરને પોતાનું સમર્થન આપ્યું હતું. કોઠારી વિવેકસાગર સ્વામીએ દેશની સેનાની કામગીરીને બિરદાવી જવાનોના મનોબળ માટે હનુમાન ચાલીસા પાઠ અભિયાન કરવા આહવાન કર્યું હતું. જેમાં દરેક ભક્તોએ પોતાના ઘરે દિવો કરી શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવા કોઠારી સ્વામીએ અપીલ કરી હતી.