મહાશિવરાત્રીનો પાવનકારી પર્વ
નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તો ઉમટ્યા
મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું
ભક્તોએ વિવિધ દ્રવ્યોથી કર્યો શિવને અભિષેક
ચાર પ્રહરની પૂજાનું પણ ખાસ આયોજન કરાયું
દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રીના પર્વની પરંપરાગત અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવતા સમગ્ર પરિસર 'હર હર મહાદેવ' અને 'જય નાગેશ્વર' ના ગુંજારવથી ગાજી ઉઠ્યું હતું.વહેલી સવારથી ભક્તોના ઘોડાપૂર નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે જોવા મળ્યું હતું.આ પર્વ નિમિત્તે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મહાશિવરાત્રીના પાવન અવસરે શિવજીની વિશેષ ઉપાસના માટે રાત્રિ દરમિયાન ચાર પ્રહરની પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવતી આ પૂજાનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શિવાલયમાં ગુંજતા મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણે ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો હતો. મહાદેવને પ્રિય એવા બીલીપત્ર, મધ, ગંગાજળ, પંચામૃત, દૂધ અને ઘીનો ઉપયોગ કરી ભક્તોએ વિશેષ પૂજન વિધિનો લ્હાવો લીધો હતો. આખો દિવસ શિવજી પર જળાભિષેક, દૂધાભિષેક અને રુદ્રાભિષેક માટે લોકો લાંબી કતારો સાથે જોવા મળ્યા હતા.