-
શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાનો પ્રયાગરાજમાં સેવાયજ્ઞ
-
કનેક્ટ ગુજરાતની ટીમ બની આ સેવાકીય પ્રવૃત્તિની સાક્ષી
-
પ્રયાગરાજમાં શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાએ મેળવી ખાસ ઓળખ
-
400થી 500 લી.દૂધમાંથી બને છે ભક્તો માટે કાઠિયાવાડી ચ્હા
-
રાત્રે ભજનકીર્તન અને ગરબાની જામે છે રમઝટ
ઉત્તર પ્રદેશના તીર્થરાજ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં માઁ ગંગાજીના પાવન જળમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે જનસેલાબ ઉમટી રહ્યો છે,ત્યારે શ્રદ્ધાળુઓની આ શ્રદ્ધામાં સાધુ સંતોએ પણ સેવાની સોડમ પ્રસરાવી છે.ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસા પણ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત વિસામો બની ગયું છે.અને આ અવસરની કનેક્ટ ગુજરાતની ટીમ પણ સાક્ષી બની છે.
અંકલેશ્વરની પવિત્ર તીર્થભૂમિ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર 1008 શ્રી મહંત શ્રી ગંગાદાસજી બાપુ સહિત સાધુ સંતો દ્વારા મહાકુંભમાં સેવાની ધૂણી ધખાવી છે.શ્રી ગંગાદાસજી બાપુ દ્વારા સતત આ 9માં વર્ષે મહાકુંભમાં સેવામય કાર્ય થકી શ્રદ્ધાળુઓ માટે રોટલો અને ઓટલાની સુચારુ વ્યવસ્થા ઉભી કરી છે.સાથે સાથે નિઃશુલ્ક ભોજન પ્રસાદીનો પણ શ્રદ્ધાળુઓ લ્હાવો લઇ રહ્યા છે,અને વિશેષ મશીન દ્વારા લાડુ પણ બનાવવામાં આવી રહ્યા છે.
તીર્થરાજ પ્રયાગરાજ મહાકુંભમાં શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં ગંગાદાસજી બાપુના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓને રહેવા,જમવા સહિતની સુવિધાઓ નિઃશુલ્ક મળી રહી છે,જેમાં રોજના અંદાજીત 400 થી 500 લીટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચ્હાની ચુસ્કી કડકડતી ઠંડીમાં શ્રદ્ધાળુઓ માટે એક હૂંફ પુરી પડી રહી છે,અંદાજે રોજના 40 હજારના ખર્ચે આ ચ્હાનો સ્વાદ માણી રહ્યા છે.આ ચ્હા પણ ખાસ સુરતથી પ્રયાગરાજ સુધી લઇ જવામાં આવી છે.
અને મહાકુંભમાં શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસા ચ્હાની સેવાએ પણ ખાસ કાઠિયાવાડી ચ્હાથી ખુબ જ પ્રખ્યાત બન્યા છે.વધુમાં બાપુની આ સેવામાં સુરતના સેવાભાવી લોકો પણ જોડાયા છે.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમનો પરિવાર પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં મહેમાન બન્યો છે.અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે.
શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં રોકાતા અને ખાસ ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભમાં દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓ રાત્રે ભોજન પ્રસાદી બાદ ભજનકીર્તન સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે,હાડ થીજાવતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓને શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં મળેલી સેવાની હૂંફ શ્રદ્ધાળુઓ માટે સંજીવનીરૂપ સાબિત થઇ છે.
દિવસ દરમિયાનની સેવાની સુરાવલી પ્રસરાવ્યા બાદ પ્રયાગરાજની ભૂમિ પણ રાત્રે ગુજરાતના ગરબાની રમઝટથી ખીલી ઉઠે છે,અને અન્ય પંડાલોના મહામંડલેશ્વર સાધુ સંતો પણ આ ક્ષણે ઉપસ્થિત રહીને શ્રી ગંગાદાસબાપુના સેવાતપને બિરદાવી રહ્યા છે.
ગુજરાતના ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક નગરીની ભૂમિ અંકલેશ્વર ખાતેથી ડિજિટલ તેમજ કેબલ ટીવી નેટવર્ક થકી પ્રસારિત થતી કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ અને ચેનલની ટીમ દ્વારા પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં ગંગાદાસજી બાપુએ રસપ્રદ વાતચીત કરી હતી.
અને અમારા સંવાદદાતા યોગેશ પારિક સાથે વાતચીત દરમિયાન બાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હાલમાં આખું વિશ્વ કુંભમાં સમાયુ છે.ત્યારે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસામાં યાત્રી કોઈપણ આવે અને જો ગુજરાતના યાત્રી હોય તો વિશેષ આનંદ અને ખુશી થાય છે.અહીંયા રોટલો અને ઓટલો બધાને જ મળે છે,તેમજ ખાસ વિશેષતા એ છે કે માઁ ગંગા મૈયાની ગોદમાં ગરબાની રમઝટ પણ જામે છે.
વધુમાં તેઓએ ઘરેથી મંદિર ધર્મને નહીં પરંતુ મંદિરથી ઘર સુધી ધર્મને લઈને આવવા પર ભાર મૂક્યો હતો.અને આપણા વૈદિક સનાતન ધર્મને છોડશો નહીં જો છોડશો તો કોઈ અપનાવશે પણ નહીં.આ યાદગાર મુલાકાત દરમિયાન બાપુએ સાધુને હંમેશા મોજી રહેવા માટે અને પત્રકારોને ખોજી રહેવા માટેનો ઉપદેશ આપ્યો હતો.