ભરૂચ: તમારા જૂના પુસ્તકો શિક્ષણ વિભાગને આપો દાનમાં, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અપીલ
ઉડિયે જ્ઞાનની પાંખે અભિયાન, જૂના પુસ્તકો શિક્ષણ વિભાગને દાનમાં આપવાની અપીલ.
સરકારી શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઉડીએ જ્ઞાનની પાંખે અભિયાન અંતર્ગત પુસ્તકોનું દાન કરવા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત અન્ય અધિકારીઓએ લોકોને અપીલ કરી છે.
કોવિડ -19ના કારણે શૈક્ષણિક કાર્યને વ્યાપક અસર થઈ છે. શાળાબંધ છે પરંતુ શિક્ષણ નથી તેવા આશય સાથે ધોરણ 1 થી 12 ના બાળકોને ઘર બેઠા વંદે ગુજરાત, શેરી શિક્ષણ, માઈક્રોસોફટ ટીમ, ડીડી ગિરનાર, વિડીયો પ્રવચન જેવા અલગ – અલગ માધ્યમો દ્વારા સંપૂર્ણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે . સરકારના પ્રયત્નોને પૂરક બનાવી અને શાળાના બાળકોમાં વાંચવાની ટેવ કેળવાય તે માટે તમામ શાળાઓને પુસ્તકો આપવા માટે " ઉડીએ જ્ઞાનની પાંખે " અભિયાન ની શરૂઆત 15 મો ઓગષ્ટ થી કરવામાં આવી છે.
ધો.1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પાઠય પુસ્તકો સિવાય ના પૂરક પુસ્તકો દાન કરવાની અપીલ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.નિપા પટેલે અપીલ કરી હતી.આ દાનમાં મળનાર પુસ્તકો જિલ્લાની તમામ 882 સરકારી શાળાઓના બાળક ને આપવામાં આવશે તેમ પણ તમણે જણાવ્યું હતુ.