Connect Gujarat
મનોરંજન 

એક્ટર સિદ્ધાર્થ શુક્લા પંચતત્ત્વમાં વિલીન, પ્રેમિકા શેહનાઝે અંતિમ પૂજા કરી

એક્ટર સિદ્ધાર્થ શુક્લા પંચતત્ત્વમાં વિલીન, પ્રેમિકા શેહનાઝે અંતિમ પૂજા કરી
X

40ની ઉંમરમાં એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું.2 સપ્ટેમ્બરના રોજ સવારે સાડાદસ વાગે કૂપર હોસ્પિટલે આ એક્ટરને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ડૉક્ટર્સે ડેથ બિફોર અરાઇવલ જાહેર કર્યું હતું. ત્યાર બાદ સાડાત્રણ વાગે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સાડાઆઠ વાગ્યા સુધીમાં પૂરું થયું હતું. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર 3 સપ્ટેમ્બરના રોજ અઢીથી પોણા ત્રણની આસપાસ ઓશિવારા સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતા.


અંતિમસંસ્કારની પૂજામાં શેહનાઝ ગિલ પણ બેઠી હતી. તેણે પણ અંતિમ પૂજા કરી હતી. કૂપર હોસ્પિટલે એક વાગ્યાની આસપાસ સિદ્ધાર્થનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ કૂપર હોસ્પિટલથી જ ઓશિવારા સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો. અહીં બ્રહ્માકુમારી સાથે જોડાયેલા 4 લોકોએ પોતાના રીત-રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે આ જ સ્મશાનમાં 'બાલિકા વધુ' ફૅમ પ્રત્યુષા બેનર્જીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થ શુક્લાના અંતિમસંસ્કારમાં એક્ટ્રેસ દલજિત કૌર, સંભાવના સેઠ, એક્ટર કરન વી ગ્રોવર, રાહુલ મહાજન, અસિમ રિયાઝ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


ઓશિવારા સ્મશાન ઘાટમાં ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી અને આ જ કારણે પોલીસ બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો હતો.

Next Story