/connect-gujarat/media/post_banners/78f23e1f5e53c1e9ebebd6c854e025acb553bc8649c0d3444371ece7952d42f9.jpg)
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 5મી ડિસેમ્બરે યોજાનારી 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે નામાંકન ભરવા પહોંચ્યા હતા.
ગુજરાતમાં બીજા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે નામાંકનનો આજે અંતિમ દિવસ છે, ત્યારે અમદાવાદની અસારવા અને એલિસબ્રિજ બેઠકના કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોચ્યા હતા. નામાંકન ભર્યા બાદ એલિસબ્રિજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભીખુ દવેએ જણાવ્યું હતું કે, આ વખતે સમગ્ર રાજ્યમાં પરિવર્તન જોવા મળશે. રાજ્યમાં કર્મચારીઓ પણ આ સરકારથી હેરાન થઈ ઉઠ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ જે ભરોસો મૂક્યો છે. આમ તો એલિસબ્રિજ બેઠકને ભાજપનો ગઢ માનવમાં આવે છે. છતાં કોંગ્રેસ આ બેઠક પર વિજય માટે આશાવાદી હોવાથી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તો બીજી તરફ, અમદાવાદ અસારવા બેઠક પર ભાજપે પૂર્વ મંત્રી પ્રદીપ પરમારની ટિકિટ કાપી પૂર્વ ડેપ્યુટી મેયર દર્શના વાઘેલાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે અહીથી પૂર્વ કાઉન્સિલર અને સક્રિય કાર્યકર વિપુલ પરમારને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે આજે વિપુલ પરમારે પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ તકે વિપુલ પરમારે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે, અને રાહુલ ગાંધી જે રીતે ભારત જોડો યાત્રાનો સંદેશો આપી રહ્યા છે. તેમ આ ઇલેક્શન પણ ગુજરાત જોડોનો સંદેશો આપશે. આમ અમદાવાદ શહેરની તમામ બેઠક પરથી અંતિમ દિવસે નામાંકન ભરવા ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો પહોંચ્યા હતા.