ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ
પિતા-પુત્રની ધરપકડ બાદ આહીર સમાજ સમર્થનમાં આવ્યો
સૂત્રાપાડા-તલાલા મામલતદાર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો
આહીર સમાજ દ્વારા તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરાય
સરકાર દ્વારા એકતરફી કાર્યવાહી કરાતી હોવાનો આક્ષેપ કર્યો
ભરૂચમાં મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પુત્રની ધરપકડ બાદ આહીર સમાજના લોકો સમર્થનમાં આવ્યા છે, ત્યારે સરકાર દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને તલાલા મામલતદાર કચેરી ખાતે આહીર સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ બહાર આવ્યું હતું. મનરેગાના કામોમાં ભરૂચના જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં રૂ. 7 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હવે આ મામલે ગીર સોમનાથ જીલ્લામાં આહીર સમાજ તેઓના સમર્થનમાં આવ્યો છે.
કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ મુદ્દે આહીર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. સૂત્રાપાડા અને તાલાલા મામલતદાર કચેરી ખાતે આહીર સમાજના લોકો બહોળી સંખ્યામાં ભેગા થયા હતા, જ્યાં મામલતદાર મારફતે સરકારને આક્રોશભેર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ તરફ, સરકાર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો પણ આહીર સમાજે આક્ષેપ કર્યો હતો. આહીર સમાજના લોકોએ‘ન્યાય આપો.. ન્યાય આપો.. હીરાભાઈને ન્યાય આપો’ના નારા લગાવી તાલાલા મામલતદાર કચેરીને ગજવી મુકી હતી. સરકાર દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભાજપ સરકાર ભરૂચમાં નેશનલ હાઇવેના કરોડોના કામમાં ભ્રષ્ટાચાર, અનાજ ગોડાઉનના કૌભાંડ છતાં સરકાર ચૂપ રહેતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
વધુમાં આહીર સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જો સરકાર ન્યાય નહીં આપે તો આગામી સમયમાં આહીર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.